Gujarat

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના

By GS TEAM
18 Mar 20262 mins read
આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના

 3102 વર્ષ પહેલાં ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રભાસના દેહોત્સર્ગ સ્થળેથી મધ્યાહનના બપોરે 2 વાગ્યાને 27 મિનિટ અને 30 સેકન્ડે સ્વધામ ગમન કર્યું હતું. 

પ્રભાસપાટણ, : મથુરાની જેલમાં પ્રાગટય પામી અનેક લીલાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાના રાજા બની આખરે પાવન પ્રભાસભૂમિમાં નીત્યલીલા માફક પ્રભાસક્ષેત્રમાં સોમનાથના સાનિધ્યમાં હીરણ નદીના કાંઠે ચૈત્ર સુદ એકમના દેહોત્સવર્ગ કરી ગોલોકધામ પ્રસ્થાન કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ વૈકુંઠગમન કર્યું તે ગોલોકધામ દિનની પ્રભાસેત્રમાં દર વર્ષે વિશેષ ઉજવણી થાય છે. તા. 19 ના ગોલોકધામ ઉત્સવ ઉજવાશે.

દાઉજીએ જ્યાંથી પાતાળ લોક પ્રવેશ કર્યો હતો તે ગુફા ખાતે પૂજ્ય જ્ઞાાનાનંદ સરસ્વતીએ પ્રભાસમાં ચાતુર્માસ દરમિયાન કરેલ શાસ્ત્રોક્ત અભ્યાસ સાથે કરેલ કાલગણના બાદ ઘોષિત કર્યું હતું કે 3102 વર્ષ પહેલાં ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રભાસના દેહોત્સર્ગ સ્થળેથી મધ્યાહનના બપોરે ૨ વાગ્યાને 27 મિનિટ અને 30 સેકન્ડે સ્વધામ ગમન કર્યું હતું. આ તિથિને સ્વિકૃતિ અપાતા દર વર્ષે ચૈત્ર સુદ એકમે ગોલોકધામ ઉત્સવ ઉજવાય છે. 

પ્રભાસક્ષેત્રમાં દર વર્ષની પરંપરા પ્રમાણે હિરણ નદીના કાંઠે ગોલોકધામ-દેહોત્સર્ગ ખાતે પ્રસ્થાન મહોત્સવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવાશે. ગોલોકધામ ઉત્સવ અંતર્ગત સવારે 6.30 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે દૈનિક પૂજન, ૮ વાગ્યે શૃંગાર આરતી, ૮.૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, ગૌપૂજન, વૃક્ષારોપણ, 9 વાગ્યે હોમાત્મક વિષ્ણુયાગનો પ્રારંભ થશે.

બપોરે 1.45 વાગ્યે બળદેવજી પૂજન, ચરણ પાદુકા પૂજન, 2.27 વાગ્યે શંખનાદ, બાંસુરીવાદન, જયઘોષ, 3 વાગ્યે ગીતા પાઠ, 5.30 વાગ્યે વિષ્ણુયાગની પૂર્ણાહુતિ ૫.૩૦થી 7 સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સાંજે 7 વાગ્યે ચરણ પાદુકા મહાઆરતી તથા પ્રસાદ વિતરણ થશે.