Get The App

આજે પંચાયતની સત્તાનો જનાદેશ : 80 હોલ, 228 ટેબલ પર થશે મતગણતરી

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
આજે પંચાયતની સત્તાનો જનાદેશ : 80 હોલ, 228 ટેબલ પર થશે મતગણતરી 1 - image


- ભાવનગર જિલ્લાની 233 ગ્રા.પં.ની ચૂંટણીની સવારે 9 કલાકથી મતગણતરીનો પ્રારંભ

- 733 મતગણતરી સ્ટાફ, 515 પોલીસ સ્ટાફ અને વર્ગ-4 ના 194 મળી 1,442 કર્મચારીને ડયૂટી સોંપાઈ

ભાવનગર : ભાવનગર જિલ્લાની ૨૩૩ પંચાયતની સત્તા માટેનો જનાદેશ આવતીકાલે બુધવારે મતપેટીઓમાંથી ખુલશે. જિલ્લાના ૧૦ મતગણતરી કેન્દ્રો પર સવારે ૯ કલાકથી મતગણતરીનો પ્રારંભ થશે. મતગણતરીમાં કોઈ વાદ-વિવાદ ન થાય, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ૧૪૦૦થી વધુ ચૂંટણી અને પોલીસ કર્મચારીને ડયૂટી સોંપવામાં આવી છે. જયારે, કેન્દ્રોની આસપાસ સલામતી દળ દ્વારા કોર્ડન વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર અને મોબાઈલ સહિતના ઉપકરણો ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં ગત રવિવારે 220 ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને ૧૩ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય ચૂંટણીમાં ૭૧.૫૭ ટકા અને પેટા ચૂંટણીમાં ૫૯.૪૬ ટકા મતદાન થયું હતું. એક-બે વિવાદને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આ તમામ ૨૩૩ ગ્રામ પંચાયતનું આવતીકાલે તા.૨૫ને બુધવારે સવારે ૯ કલાકથી જિલ્લાના ૧૦ મતગણતરી સ્થળેથી મતગણના શરૂ થશે.આ માટે ૧૦ મતગણતરી સ્થળે ૮૦ હોલમાં ૨૨૮ મતગણતરી ટેબલ ઉભા કરાયા છે. મતગણતરી માટે ૭૩૩ અધિકારી-કર્મચારી, ૫૧૫ પોલીસ સ્ટાફ અને વર્ગ-૪ના ૧૯૪ કર્મચારી ફરજમાં રહેશે.

ઉલ્લેખનિય છે કે, મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારે ૬ કલાકથી મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ લોકોએ રાજમાર્ગો, શેરી-ગલીઓમાં એકઠા થવા પર અને સભાઓ ભરવા પર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ મુક્યો છે. આ હુકમ મતગણતરી કર્મચારી-અધિકારી અને મતગણતરી એજન્ટોને લાગુ પડશે નહીં. તો, જિલ્લાભરમાં ચૂંટણી પરિણામોને લઈ ગ્રામ્ય કક્ષાએ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

બોટાદ જિલ્લાની 41 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ

બોટાદ જિલ્લાના ચાર તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયતની સામાન્ય અને ૧૦ ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. ચારેય તાલુકામાં એક-એક મળી કુલ ચાર મતગણતરી સ્થળે મતગણના થશે. જેમાં બોટાદ (ગ્રામ્ય)ની ૧૭ ગ્રા.પં. માટે મતગણતરી માટે ૧૧ હોલ, ગઢડા તાલુકાની ૧૬ ગ્રા.પં. માટે બે, બરવાળા તાલુકાની પાંચ ગ્રા.પં. માટે બે અને રાણપુર તાલુકાની ત્રણ ગ્રા.પં. માટે બે હોલ ઉભા કરવામાં આવશે. મતગણતરી સ્ટાફની સંખ્યા પર નજર કરીએ તો બોટાદ (ગ્રામ્ય)માં ૫૧, ગઢડામાં ૩૨, બરવાળામાં ૮ અને રાણપુરમાં ૦૪ ચૂંટણી સ્ટાફને ફરજ સોંપાઈ છે. તો મતગણના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ (ગ્રામ્ય)માં પોલીસ સ્ટાફની સંખ્યા ૫૦, ગઢડા તાલુકા માટે ૧૨૪, બરવાળા તાલુકા માટે ૧૫ અને રાણપુર તાલુકા માટે ૦૮ મળી ૧૯૭ પોલીસ કર્મચારી-અધિકારીને ડયૂટી સોંપાઈ છે. જ્યારે મતગણતરી દરમિયાન બોટાદ (ગ્રામ્ય)માં ૨૦, ગઢડામાં ૦૫, બરવાળામાં ૦૬ અને રાણપુરમાં ૦૨ મળી વર્ગ-૪ના કુલ ૩૩ કર્મચારી પણ ફરજમાં રહેશે.

Tags :