Get The App

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો 1 - image

દેશમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાત નં. 1 વ્યસનીઓ 1  કરોડથી વધારે  : ઔષધ તરીકે લેવાતા કૃષિપાકને વ્યસનીઓ મોજ માટે ખાય બિમારી નોતરે છે : 5 વર્ષથી સતત વધતું વાવેતર, ચાલુ વર્ષે 18 ટકા વધારો

 રાજકોટ, : ગુજરાતમાં 30થી વધુ કૃષિપાકમાં તમાકુનો સમાવેશ પણ થાય છે અને તેનું વાવેતર ડુંગળી, લસણ, ઈસબગુલ, વરિયાળી અને જુવાર, મકાઈ કરતા પણ આ વર્ષે વધારે થયું છે. ખરીફ અને રવી એટલે કે ચોમાસુ અને શિયાળો બન્ને ઋતુમાં ઉગતા તમાકુના છોડનું વાવેતર વધવાની સાથે તેનું ઉત્પાદન 5 વર્ષમાં જ આશરે 18 ટકા વધ્યું છે. ઈ. 2020-21માં રાજ્યમાં 3.96 લાખ ટન  સામે ગત વર્ષ ઈ.સ. 2024-25માં વધીને 4.67 લાખ ટને પહોંચ્યું છે અને ચાલુ વર્ષ ઈ. 2025-26માં ઉત્પાદન આથી પણ વધવાની શક્યતા છે. દેશમાં અંદાજે 40 ટકા જેટલું તમાકુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 

ગુજરાતમાં ઈ. 2022ની રવી ઋતુમાં 1.38 લાખ હેક્ટરમાં તમાકુનો પાક લેવાયો હતો, ચાલુ વર્ષે તે 1.76  લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બીજ રોપાયા છે. દર વર્ષે તેનું વાવેતર 100 ટકાને પાર થઈને આગલા વર્ષ કરતા 19 ટકા સુધી વધ્યું છે અને ચાલુ વર્ષે આ વધારો નોર્મલ ત્રિવાર્ષિક સરેરાશ વાવેતરથી ૧૮ ટકાનો છે. 

તમાકુનો ઈતિહાસ તો હજારો વર્ષ પૂર્વેનો છે અને ગુજરાતમાં તે 17મી સદીમાં આવ્યાનું મનાય છે. પરંતુ, અગાઉના સમયમાં તેનો ઉપયોગ જંતુનાશક દવા સહિત અનેકવિધ રીતે થતો રહ્યો છે અને આજે પણ ગુજરાતમાં તમાકુનો કૃષિપાક ખાવા માટે નહીં પરંતુ, ઔષધીય પાક તરીકે તેને વાવવામાં આવે છે. પરંતુ, ગુજરાતમાં એકથી દોઢ કરોડ લોકો તેનો વ્યસન માટે (મોટાભાગે ખાઈને થુંકી દેવા માટે) વાપરે છે અને બિમારીને નોતરે છે. છૂટકમાં તમાકુના પાંદડા રૂ।.૫૦ના ૧૦૦ગ્રામ લેખે વેચાય છે. પરંતુ, આ કુદરતી ઝેરમાં અસંખ્ય અને અતિ ઘાતક ઝેર ઉમેરીને તેને વિવિધ બ્રાન્ડ કે નંબર સાથે વેચવામાં આવે છે. 

નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના છેલ્લા ઉપલબ્ધ ઈ. 2019-20ના રિપોર્ટ મૂજબ ગુજરાતમાં 41 ટકા પુરૂષો અને 8.7 ટકા મહિલાઓમાં તમાકુનું વ્યસન હોવાનો અંદાજ છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ મૂજબ ભારતમાં એકંદરે 27 કરોડ પુખ્તવયના લોકો તમાકુના બંધાણી છે. વધુમાં જણાવાયા પ્રમાણે તમાકુથી કેન્સર જ નહીં પરંતુ, હાર્ટ ડીસીઝ સહિત અનેક રોગનો ખતરો વધતો હોવાનું અને વિશ્વમાં વર્ષે 70 લાખના મોત બંધાણીના અને તેથી વધુ ચિંતાજનક વાત એ છે કે 16 લાખ જેટલા મૃત્યુ સિગારેટ નહીં પીનારા પણ તેના ધુમાડાના વારંવાર સંસર્ગમાં આવવાથી નિમિત બને છે. 

ગુજરાતમાં 400 વર્ષ પૂર્વે પોર્ટુગીઝો તમાકુને લાવ્યા

રાજકોટ, : કોલમ્બસ 15મી સદીમાં યુરોપમાં તમાકુનો છોડ લઈ ગયો જ્યારે ગુજરાતમાં 1605માં ખેડા, મહેસાણા જિલ્લામાં પોર્ટુગીઝો વખતે તમાકુના છોડનું આગમન થયું હતું. વ્યસન તરીકે પ્રચલિત મોગલ કાળમાં હુક્કા તરીકે થયાનું પણ મનાય છે.