કોરોના વોરિયર્સની કામગીરીની સરાહના માટે એન્ટીબેક્ટેરિયલ ફેબ્રિકથી રાખડી બનાવી
ડોક્ટર, નર્સ, પોલીસ મૃતકોની અંતિમ ક્રિયા કરાવનારા કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવા રાખડી પર સ્લોગન પણ લખાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
સુરતમાં ખડે પગે ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સની કામગીરીની સરાહના માટે તેમના વિશે સ્લોગન સાથે એન્ટીબેક્ટેરિયલ ફેબ્રિકની રાખડી બનાવવામાં આવી છે. લોકો પણ કોરોના અંગે જાગૃત થાય એ પણ રાખડી બનાવવાનો હેતુ છે.
માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાકાળ થી લઈને અત્યાર સુધી કોરોના વોરિયર્સ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે . બીજી તરફ લોકો બેદરકાર રહેતા હોવાથી કેસોની સંખ્યા સતત વધી રહી છે. તેમાં કોરોના પોઝિટિવ દર્દીઓની ટ્રીટમેન્ટ કરતા કોરોના વોરિયર્સ કરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે. ત્યારે સુરતની એક મહિલા દ્વારા કોરોના વોરિયર્સની કામગીરીની સરાહના થઈ શકે અને લોકોમાં વધુ જાગૃતતા આવી શકે એ માટે જૂથ અને એન્ટી બેક્ટીરિયલ ફેબ્રિકની રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી પર કોરોના વોરિયર્સ એવા નર્સ, ડોક્ટર, પોલીસ અને અંતિમક્રિયા કરાવનાર વોરિયર્સ તેમજ અન્ય વોરિયર્સ વિશે સ્લોગન લખીને તેમનો આભાર વ્યક્ત કરાયો છે.
પૂજા શાહે કહ્યું કે, આ રાખડી ખાસ કરીને લોકો કોરોના વોરિયર્સ પ્રત્યે જાગૃત થાય એ હેતુ થી બનાવવામાં આવી છે. સેફટીના મુદ્દાને સમજી વધુમાં વધુ લોકો માસ્ક પહેરે અને સેનેટાઈઝરનો પૂરતો ઉપયોગ કરે એ વાતને ધ્યાન રાખીને રાખડી જૂથ અને એન્ટીબેક્ટેરિયલ ફેબ્રિક થી બનાવવામાં આવી છે.