Gujarat

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ

By GS TEAM
13 Jan 20262 mins read
વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ

- ગંભીર હાલતે યુવાનને હોસ્પિટલે ખસેડાયો

- 4 વર્ષ પહેલા યુવાને રૂ. 2.40 લાખ શખ્સ પાસેથી 15 ટકા વ્યાજે લીધા હતા

ભાવનગર : શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર  પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા પરેશભાઈ જગદીશભાઈ મૂળચંદણીએ અજય ભલાભાઈ મેર પાસેથી ચારેક વર્ષ પહેલા રૂ.૨,૪૦,૦૦૦ પંદર ટકા વ્યાજે લીધા હતા.વ્યાજે લીધેલા રૂપિયાનું દર મહિને રૂ.૧૫ હજાર વ્યાજ પરેશભાઈ ચૂકવતા હતા. દરમિયાનમાં પરેશભાઈ પાસે રૂપીયાની સગવડ ન હોય અજયને વ્યાજના રૂપીયા આપેલ નહિ જેથી ગઈ તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યે પરેશભાઈ બ્લોકમાં ઘરેથી લીફ્ટમાં બેસીને નીચે જતા હતા ત્યારે આ દરમ્યાન લિફ્ટની અંદર ગોપાલ ભલાભાઇ મેર (રહે. માલધારી, શિક્ષક સોસાયટી) પણ હતો. જેણે લીફ્ટ અંદર મારામારી કરી ગાળો આપી વ્યાજ અને મુળગા રૂપિયાની કરી અને કહેલ કે જો તુ મારા ભાઈ અજયના વ્યાજના રૂપીયા આપીશ નહિ તો તને આજે જીવતો જવા નહિ દવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી લિફ્ટમાંથી નીચે લાવી ગોપાલે ઢીંકા પાટુંનો માર મારી છરી કાઢી કહેલ કે આ છરી તારી સગી નહિ થાય તેમ કહી બળજબરી કરી રૂ.એક લઇ લીધા હતા અને ગોપલે જતા જતા કહેલ કે તુ મારા ભાઇ અજયના વ્યાજના રૂપીયા નહિ આપ તો તેને તથા તારા ઘરના સભ્યોની હેરાન પરેશાન કરી નાખીશ તેમ કહિ ને જતો રહ્યો હતો. અને આ ગોપાલ મેર તથા અજય મેરની બીકના કારણે તા-૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પોતાના ફ્લેટમાં નીચે જાતેથી ગળાના ભાગે પતરી મારી ઇજા આત્મહત્યાનો પ્રયાસ કરતા પરેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પરેશભાઈએ બે શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.