વડોદરા ડિવિઝનમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તીરંગા યાત્રા
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અને “સ્વચ્છતા અભિયાન 2025” અંતર્ગત ભવ્ય તિરંગા જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મંડળ રેલ પ્રબંધક કાર્યાલયથી શરૂ થઈને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રતાપનગર સ્થિત હેરિટેજ પાર્ક સુધી પહોંચી હતી.
મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના નેતૃત્વમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભક્તિની શાશ્વત જ્યોત ફેલાવવાનો અને નાગરિકોને તેમના ઘરો અને ઓફિસોમાં તીરંગો લહેરાવવા માટે પ્રેરણા આપવાનો હતો. રેલી દરમિયાન સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સહભાગીઓએ રસ્તા પર ફેલાયેલો કચરો એકઠો કરીને જાહેર સ્થળોની ગરિમા પુનઃસ્થાપિત કરી અને ઉપસ્થિત લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. ઉપરાંત, બધા સહભાગીઓએ શપથ પર હસ્તાક્ષર કરીને સ્વચ્છતા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હેરિટેજ પાર્ક ખાતે ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સમારોહ યોજાયો હતો.