અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો
Ahmedabad News: અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ, ફાયર વિભાગ દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરાઈ છે. ફાયર અધિકારીઓ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે, બે ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 5.45 વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. બોટથી સજ્જ બે બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણથી ચાર યુવકો તળાવમાં ડૂબી ગયા હતા. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય યુવકોની શોધખોળ હજુ ચાલી રહી છે.
ઘટનાનું કારણ અસ્પષ્ટ છે, અધિકારીઓએ હજુ સુધી ખાતરી કરી નથી કે યુવકો તળાવમાં કેવી રીતે પ્રવેશ્યા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્ણ થયા પછી અને પીડિતોની ઓળખ કરાશે. ત્યારબાદ વધુ વિગતોની પુષ્ટિ કરવામાં આવશે.
પંચમહાલના કાલોલમાં ચાર લોકો ડૂબ્યા, એકનું મોત
ગુજરાતમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પંચમહાલના કાલોલમાં આવેલા મીરાપુરીમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર લોકોના ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.