Get The App

દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત

અનેક સ્થળોએ ઝાડ અને વીજપોલ તૂટયા ઃ અંડરપાસમાં પાણી ભરાયા, શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત 1 - image

દાહોદ તા.૧૪ દાહોદ શહેર તેમજ જિલ્લામાં આજે ઢળતી સાંજે ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અનેક સ્થળોએ વીજપોલ તેમજ વૃક્ષ ધરાશાયી થતા વિવિધ માર્ગો અવરોધિત થયા હતા. વીજપોલ પડી જતા અડધા શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને આફતરૃપી આકાશી વીજળી પડવાથી ૩ ના મોત અને બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ગરમી અને બફારાના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે તાપમાનનો પારો ૪૨ ડિગ્રી પર પહોંચ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ ૫૪ ટકાની સાથે પવનની ઝડપ માત્ર ૫ કિલોમીટર પ્રતિ કલાકની હોવાથી આજે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો કંટાળી ગયા હતા. દરમિયાન સાંજ પડતા વાતાવરણમા એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.

એક કલાકથી વધુ સમય સુધી પડેલા વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ભરપોડા સર્કલ તેમજ ગોદીરોડ અંડરપાસ પર પાણી ભરાતા માર્ગ બંધ થઇ ગયો હતો. અસંખ્ય વૃક્ષો અને વીજપોલ પડી જતા અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. દાહોદ શહેર સિવાય ઝાલોદ, ફતેપુરા અને લીમખેડાને બાદ કરતા તમામ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ખાયા બોરવાનીથી દાહોદને જોડતો માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો.



Tags :