વાંકાનેરના મહિકામાં જમીન મામલે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેર પીધું

ત્રણેય રાજકોટ સિવીલમાં સારવાર હેઠળ
જમીન પાસે રેતીની લીઝ જેને મળી છે તે જમીન ખાલી કરાવવા ધમકાવતા હોવાનો આક્ષેપ કરાતા તપાસ
વાંકાનેરના મહિકા ગામે રહેતાં યશ હરિભાઈ બાંભણીયા (ઉ.વ.ર૦) અને તેના મોટાબાપુના બે દિકરા કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉ.વ.ર૩) અને વિશાલ (ઉ.વ.ર૦)એ પોતાની મહિકા ગામે આવેલી વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ મામલે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેની જમીન નદી કાંઠે આવેલી છે. નદીકાંઠે રેતીની લીઝ જેને મળી છે તે શખ્સો તેને જમીન ખાલી કરાવવા ધમકાવી માથાકૂટ કરતા હતા. આથી આજે પણ આ શખ્સોએ ત્રણેય યુવાનો સાથે માથાકૂટ કરતાં તેમણે ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હાલ ત્રણેય પિતરાઈ ભાઈઓ રાજકોટ સિવીલમાં સારવાર હેઠળ છે. જોકે ખરેખર કયા કારણે આ બનાવ બન્યો તે મામલે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્રણેયની પુછપરછ બાદ કારણ બહાર આવશે.

