જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના
Jamnagar News : જામનગરના નાઘેડીમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
પિતા-બે બાળકોના ડૂબવાથી મોત
મળતી માહિતી મુજબ, જામનગરના નાઘેડી વિસ્તારની પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં ગણેશ વિસર્જન ગયા હતા. આ દરમિયાન ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા સમયે પિતા-પુત્ર ત્રણેય પાણીમાં ઉતર્યા હતા. જેમાં ત્રણેય બાપ-દીકરો એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેવામાં પિતાએ પોતાના બંને પુત્રોને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.
આ પણ વાંચો: ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના
આ બનાવના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને ધ્યાને આવતી તરજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી, જેથી ફાયર શાખાની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાંથી પ્રિતેશભાઈ અને તેમના બે પુત્રો સંજય અને અંશના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસને જાણ થવાથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું છે. જ્યારે પ્રિતેશ ભાઈના માતા તથા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોની યાદી
- પ્રિતેશ દિનેશભાઈ રાવત (ઉં.વ.35, રહે. રામેશ્વર નગર જામનગર)
- સંજય પ્રિતેશભાઈ રાવત (ઉં.વ.15)
- અંશ રાવત