ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી

વડોદરા,ડો.બાબા સાહેબ આંબેડકરની પોસ્ટના મુદ્દે યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના મહુવાનો નિલેશ નાનજીભાઇ જીતીયા ( ઉં.વ.૩૩) હાલમાં ન્યૂ વી.આઇ.પી. રોડ ડી માર્ટની પાછળ મણીનગરમાં રહે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મેં એમ.બી.એ. માર્કેટિંગનો અભ્યાસ કરૃં છું અને વડોદરામાં ટેમ્પો ચલાવું છું. ગત ૩૦ મી ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યે હું મોબાઇલમાં યુ ટયૂબ જોતો હતો. તે સમયે ડો. બાબા સાહેબ આંબેડકરનો એક ફોટો એડિટ કરીને અપલોડ કરેલો ધ્યાને આવતા મેં ફોટો અપલોડ કરનાર નાગદાન આહિરને કોલ કરીને તે ફોટો હટાવી લેવા કહ્યું હતું. અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. મારા મિત્રે મને એક ઓડિયો ક્લિપ મોકલી હતી. જેમાં નાગદાન તથા હકુ કાઠી નામનો વ્યક્તિઓ મને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. તેમજ જાતિ વિષયક શબ્દો કહ્યા હતા. ત્યારબાદ મને ફોન કરીને ધમકી આપી હતી.








