Gujarat
પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી
By GS TEAM
4 Nov 20251 min read

વડોદરા,પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ફરિયાદીના ઘરે જઇ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ત્રણ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મધ્યપ્રદેશના મૂળ વતની દિલીપભાઇ સુરેશભાઇ પ્રજાપતિ હાલમાં માંજલપુર મારૃતિધામ સોસાયટી પાસે પાર્થભૂમિમાં રહે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૦ મી ઓક્ટોબરે રાતે બે વાગ્યે અમે ઘરે સૂતા હતા. ત્યારે અમારા મકાનનો દરવાજો કોઇએ જોર જોરથી ખખડાવતા હું અને મારી પત્ની બહાર જોવા ગયા હતા. અમારા નજીકના સગાઓ મનિષભાઇ પ્રજાપતિ, ગ્રીજેશ પ્રજાપતિ તથા સંતોષ પ્રજાપતિ ( ત્રણેય રહે. સેવોડા ગામ, એમ.પી., હાલ રહે. તરસાલી) હતા. મારા દીકરાની બર્થડે પાર્ટીમાં નહીં બોલાવવા બાબતે તેઓએ ઝઘડો કરતા અમે તેઓના વિરૃદ્ધ એમ.પી.માં ફરિયાદ નોંધાવી હતી. તેની અદાવત રાખી તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.








