Gujarat

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી

By GS TEAM
10 Nov 20251 min read
નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી

- વેકેશનનું કારણ આગળ ધરી રૂટ બંધ કરાયો 

- શાળા કોલેજો શરૂ થઈ ગઈ છતાં બસ બંધ : નરસંડા, વડતાલ, જોળ, બાકરોલ, વિદ્યાનગરના મુસાફરો અટવાયા

નડિયાદ : ખેડા એસટી ડેપોની વર્ષોથી દોડતી સાંજના ૫.૩૦ કલાકે નડિયાદથી આણંદ જતી એસટી બસનો રૂટ કોઈ અગમ્ય કારણોસર અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. 

રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની એસટી બસો શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારને સાંકળતા વર્ષો જૂના બસ રૂટો આડેધડ બંધ કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે નડિયાદથી યાત્રાધામ વડતાલ, વિદ્યાનગર થઈ આણંદ જતી સાંજની ૫.૩૦ કલાકની બસ સુવિધા અચાનક વેકેશન કરીને બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં શાળા કોલેજો શરૂ થઈ છે ત્યારે નરસંડા, વડતાલ, જોળ, બાકરોલ, વિદ્યાનગર તરફના વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા નોકરી ધંધા અર્થે અપડાઉન કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મુસાફરોએ આ બસ ફરી શરૂ કરવા અવારનવાર રજૂઆત કરવા છતાં એસ.ટી તંત્ર દ્વારા બંધ કરેલી એસટી બસ શરૂ કરવામાં ના આવતા મુસાફરોમાં ભારે આક્રોશ છે. આગામી દિવસોમાં એસટી ડેપો દ્વારા નડિયાદથી વડતાલ આણંદની સાંજની બસ શરૂ કરવામાં નહીં આવે તો અપડાઉન કરતા મુસાફર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.