રાજકોટ જિલ્લામાં હજારો ગરીબો રાશનકાર્ડના જથ્થાથી વંચિત રહ્યા
સસ્તા અનાજના વેપારીઓનો કલેક્ટર કચેરીએ ધસી જઈ રજૂઆત : અનેક દુકાનોમાં જૂનનો જથ્થો 31 મે સુધી પહોંચ્યો ન્હોતો, છેલ્લા દિવસોમાં જથ્થાનું ટૂંકી મુદ્દતમાં વિતરણ શક્ય ન બન્યું
રાજકોટ, : રાશનકાર્ડ ધારકો માટે પૂરવઠા તંત્રએ સમયસર પુરતો જથ્થો નહીં મોકલતા રાજકોટ શહેરમાં આશરે 20,000 સહિત જિલ્લામાં અંદાજે 50,000 કાર્ડધારકો રાશનથી વંચિત રહી જતા રોષની લાગણી પ્રસરી છે તેમ આજે જિલ્લા કલેક્ટરે ધસી આવેલા રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસોસીએશને જણાવ્યું હતું.
પૂરવઠા નિયામકને પૂરવઠા અધિકારી મારફત કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મૂજબ સરકારના તા. 13 મેના પરિપત્ર મૂજબ મે અને જૂન માસનું વિતરણ મે મહિનામાં કરવાનું ઠરાવાયું હતું પરંતુ, તા. 31 મે સુધી રાજકોટ સહિત જિલ્લામાં સસ્તા અનાજની દુકાને આ જથ્થો પહોંચાડવામાં આવ્યો ન્હોતો. ત્યારબાદ તા. 1થી 5 જૂન વિતરણની મુદત ંલબાવી પરંતુ, રાજકોટના દુકાનદારોને જૂન મહિના માટેના જથ્થાના વિતરણના છેલ્લા દિવસોમાં જથ્થો મળતા રાશનકાર્ડધારકોનો દુકાનો પર ભારે ધસારો થયો હતો અને તેમને મૂશ્કેલી પડી હતી. હજારો રાશનકાર્ડ ધારકો જથ્થાથી વંચિત રહેતા તેમનામાં રોષ ફાટી નીકળ્યો છે અને આ રોષનો ભોગ દુકાનદારો બની રહ્યા છે. આથી સરકાર તા. 13 મે બાદ જે રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું હોય તેમને પણ જથ્થો મળી રહે તે માટે જરૂરિયાત મૂજબ દુકાનદારોને પુરક પરમીટ આપવા તથા જૂન માસના વિતરણને લંબાવવા ભારપૂર્વક માંગણી કરાઈ છે.