જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Water Wastage : જામનગર શહેરના ગોવાળ મસ્જિદ વિસ્તારમાં આજે વહેલી સવારે મહાનગરપાલિકાની બેદરકારીને કારણે અન્ડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે.
માહિતી અનુસાર, ગોવાળ મસ્જિદ વિસ્તારમાં આવેલી પાણીની પાઇપલાઇનના એક ભાગમાં ભંગાણ પડતાં મોટી માત્રામાં પાણી બહાર નીકળવા લાગ્યું હતું. આ પાણી રસ્તાઓ પર વહેતાં આખરે ગટરમાં જઈ રહ્યું હતું, જેના કારણે ત્રણથી ચાર કલાક સુધી સતત પાણીનો બગાડ થયો હતો. સ્થાનિક લોકો દ્વારા આ મુદ્દે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાણી જેવી કિંમતી સંપત્તિનો આટલો મોટો બગાડ થવો શહેરની સુવિધાઓ અને તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે.
આ દરમિયાન કોઈ જાગૃત નાગરિક દ્વારા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવતાં તંત્ર સક્રિય બન્યું હતું. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પાણીની લાઇન બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ તૂટેલી પાઇપલાઇનની મરામત (રીપેરિંગ) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જોકે, સમયસર ધ્યાન ન આપવાના કારણે હજારો લિટર પાણી ગટરમાં વહી જતાં મોટો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે, અને આવી બેદરકારી ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.








