ટીવાયના વિદ્યાર્થીઓને આ વર્ષથી બેચરલ અને ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ મળશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ હેઠળ વિવિધ ફેકલ્ટીઓના ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ વર્ષે ત્રીજા વર્ષમાં આવ્યા છે.ત્રીજા વર્ષમાં તેમને બેચલર ડિગ્રી મેળવવાનો કે ચોથું વર્ષ ભણીને ઓનર્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ મળશે.આ ઉપરાંત તેમને વિષય પસંદગી પણ કરવાની રહેશે.
આમ નવી શિક્ષણ નીતિ હેઠળ ટીવાયના માળખામાં ધરખમ ફેરફારો થશે.જેને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા ટીવાયના લગભગ ૬૦૦૦ વિદ્યાર્થીઓ માટે તા.૨૭ અને ૨૮ જૂન એમ બે દિવસ માટે સવારે ૯-૩૦ થી ૧૧ દરમિયાન ફેકલ્ટીના દરેક યુનિટ પર ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જે કે પંડયાના હેવા પ્રમાણે આ વિદ્યાર્થીઓને ટીવાયમાં મેજર અને ઈલેક્ટિવ વિષયોની પસંદગી કેવી રીતે કરવી તેની જાણકારી આપવામાં આવશે.કારણકે નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થી જે મેજર વિષય પસંદ કરશે તેના ત્રણ પેપરનો તેણે અભ્યાસ કરવાનો રહેશે.ઉપરાંત ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓએ ચોથા વર્ષમાં પણ આ જ માળખા હેઠળ અભ્યાસ ચાલુ રાખવાનો થશે.ટીવાયમાં વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ઈન્ટરનેશનલ બિઝનેસ, એનાલિટિકલ એન્ડ એપ્લાઈડ ફાઈનાન્સ વિષયો ઓફર કરાશે.જેમાંથી તેણે એક મેજર વિષય પસંદ કરવાનો રહેશે








