Get The App

ઝાડેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા : જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા પરિવારને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
ઝાડેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા : જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા પરિવારને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું 1 - image

Bharuch Theft Case : ઝાડેશ્વર ગામ ખાતે જન્માષ્ટમીની ઉજવણી હેતુ વતન ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ.5.61 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઈ જતા ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. 

મૂળ જૂનાગઢના વતની અને હાલ ઝાડેશ્વર ગામ જીએનએફસી ટાઉનશિપ નજીક પટેલ નગર સોસાયટીમાં રહેતા દુર્ગેશભાઈ સાવલિયા દહેજ ખાતે ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.10 ઓગષ્ટના રોજ તેઓ પરિવાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે વતન જુનાગઢ ગયા હતા. જ્યાંથી તા.17 ઓગષ્ટના રોજ તેઓ પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હોય ઘરમાં સામાન વેરવિખેર હતો. અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રૂ.5.40 લાખની કિંમતના સોનાના ઘરેણા અને રૂ.21 હજારની કિંમતના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.5,61,502ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સોનાનું પેન્ડલ, સોનાની કડી, સોનાની વીંટી, સોનાની ચેન, ચાંદીના સાંકડા, ચાંદીનો કંદોરો સહિતના દાગીનાનો સમાવેશ થાય છે. આ અંગે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.