Get The App

જ્વેલર્સના બંધ મકાનમાં ચોર ત્રાટક્યા, 1.96 લાખની ચોરી

- રાજકોટની પોશ સાંઈનગર સોસાયટીમાં આવેલા

- અંબાજી અને નાથદ્વારા દર્શન કરવા જતા પાછળથી બંધ મકાનને તસ્કરોએ આરામથી ધમરોળ્યું

Updated: Mar 1st, 2021

GS TEAM


Google News
Google News
જ્વેલર્સના બંધ મકાનમાં ચોર ત્રાટક્યા, 1.96 લાખની ચોરી 1 - image


રાજકોટ : બીગ બજાર પાછળ સાંઈનગર સોસાયટી શેરી નં.૫માં રહેતા અને ફૂલવાડી પાસે વ્રજ જ્વેલર્સ નામની પેઢી ધરાવતા જયેશભાઈ મગનભાઈ મકવાણા (ઉ.વ.૪૮)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો ૧.૯૬ લાખની મતા ચોરી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ચોરી કરનાર બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેના આધારે પોલીસે ઓળખ મેળવી ઝડપી લેવા તપાસનો દોર જારી રાખ્યો છે.

ફરિયાદી જયેશભાઈ ગઈ તા.૨૫ના રોજ સવારે પરિવારજનો સાથે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી નાથદ્વારા ગયા હતા. ગઈકાલે રાત્રે દસેક વાગ્યે ઘરે પરત ફરીને જોયું તો મકાનના તાળાં તૂટેલા હતા. અંદર જોતા રૃમમાં આવેલી તિજોરીના તાળાં તૂટેલા અને સામાન વેરવીખેર જોવા મળ્યો હતો. 

તિજોરીમાંથી તસ્કરો સોનાનો ચેન, સોનાની વીટી, સોનાની કંઠી, સોનાની માદેણી, ચાંદીનું કળશ અને શ્રીફળ, રોકડા રૂ.૭૦ હજાર તથા ઉપરના રૃમમાં આવેલી તિજોરીમાંથી સોનાનો ચેન, મંગળસુત્ર, વીટી, પેન્ડેન્ટ, બ્રેસલેટ, લેડીસ પંજો વગેરેની ચોરી કરી ગયા હતા. 

જ્યારે તેની બાજુમાં આવેલા બીજા રૃમમાંથી પણ ચાંદીનો સેટ, ચાંદીના સાકળાની ચોરી કરી ગયા હતા. આ રીતે તસ્કરો ૧૬૫ ગ્રામ સોનાના અને ૪૫૦ ગ્રામ ચાંદીના દાગીના ઉપરાંત ૭૦ હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. 

આજે આ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા તેનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ચોરીના બનાવમાં હવે પોલીસ સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચકાસે છે. જ્યાં ચોરી થઈ ત્યાં સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોવાથી પોલીસે ફૂટેજ ચેક કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે તસ્કરો ગત રવિવારની રાત્રે ૨ઃ૪૨ વાગ્યાની આસપાસ ચોરી કરવા ત્રાટક્યા હતા. તે વખતે શેરીના શ્વાનો ભસતા તસ્કરો થોડીવાર શાંતિથી બેસી રહ્યા હતા. ત્યારબાદ અંદર ઘૂસી આરામથી ચોરી કરી હતી. 

પરોઢીયે ૪-૩૦ વાગ્યે બંને તસ્કરો ચોરી કરી ભાગતા હોવાનું દેખાય છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરી તેના આધારે બંને તસ્કરોની ઓળખ મેળવવા તપાસનો દોર જારી રાખ્યો છે. 

Tags :