Bharuch Theft Case : ભરૂચની હિતેશનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રૂ.3.22 લાખના સોનાના દાગીના, રૂ. 16,300ની કિંમતના ચાંદીના દાગીના અને રોકડા રૂ.40 હજાર મળી કુલ રૂ.3.83 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા.
ભરૂચ ગામની હિતેશનગર કો.ઓ.હા સોસાયટીમાં રહેતા 66 વર્ષીય અનિલભાઈ અંબાલાલ ગાંધી નિવૃત્ત જીવન ગુજારે છે. ગઈ તા.27 ઓગસ્ટના રોજ વડોદરા રહેતા પુત્રના ઘરે ગણપતિની સ્થાપના કરી હોવાથી તેઓ પત્ની સાથે ગયા હતા. બીજા દિવસે તેમને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓ પરત ભરૂચ દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હતો અને તિજોરીમાંથી રોકડા રૂ.40 હજારની મત્તાનું લોકર ગાયબ હતું. અજાણ્યા તસ્કરો સોનાની ચેન, બુટ્ટી, બ્રેસલેટ, ચાંદીના ઝાંઝર, ચેન, વીંટી, કડુ, સોના-ચાંદીના સિક્કા તથા રોકડ મળી કુલ રૂ.3.83 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. વર્ષ 2024માં પુત્રના લગ્ન દરમિયાન ગિફ્ટમાં મળેલ સોનાની વસ્તુઓ પણ હતી. ફરિયાદના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


