Get The App

ભારતમાં 1967થી અત્યાર સુધી 125 વાવાઝોડા ત્રાટકયા છે, આ વર્ષમાં સૌથી વધુ ચક્રવાત ઉદભવ્યા હતા

Updated: May 18th, 2021

GS TEAM


Google News
Google News
ભારતમાં 1967થી અત્યાર સુધી 125 વાવાઝોડા ત્રાટકયા છે, આ વર્ષમાં સૌથી વધુ ચક્રવાત ઉદભવ્યા હતા 1 - image


- તાઉ-તે અરબી સમુદ્રમાંથી પેદા થયેલું આ સિઝનનું પ્રથમ વાવાઝોડુ
- ભારતમાં વર્ષ 2018માં સૌથી વધુ 7 ચક્રવાત ઉદભવ્યા હતા

અમદાવાદ,18 મે,2021,મંગળવાર

ઉના નજીકના દરિયાકાંઠાથી ગુજરાતમાં આવેલા તાઉ-તે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદ સાથે નુકસાન પણ કર્યુ છે. અરબી સમુદ્રમાંથી પેદા થયેલું ૨૦૨૧ના વર્ષનું પ્રથમ વાવાઝોડું ૧૭ મે ની મધરાતે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થયું હતું.

કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતને પ્રભાવિત કરનારા તાઉ-તે વાવાઝોડાથી ૩૦ થી વધુના મુત્યુ થયા છે. તાઉતેએ કાંઠા વિસ્તાર સહિત ઓછા વત્તા પ્રમાણમાં સમગ્ર રાજયને અસર કરી છે. ગત ૨૦૨૦ વાયુ નામના વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો પરંતુ છેવટે દિશા ફંટાઇ જતા ગુજરાત પરથી ઘાત ટળી હતી પરંતુ આ વર્ષે તાઉ-તે ગુજરાતને ટકરાયું હતું.

ભારતમાં 1967થી અત્યાર સુધી 125 વાવાઝોડા ત્રાટકયા છે, આ વર્ષમાં સૌથી વધુ ચક્રવાત ઉદભવ્યા હતા 2 - image

પ્રાપ્ત માહિતી મુજબ ભારતમાં ૧૯૬૭થી અત્યાર સુધી ૧૨૫ જેટલા વાવાઝોડા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગંભીર પ્રકારના ચક્રવાતનું પ્રમાણ વધતું જાય છે જે ચિંતાનો વિષય છે. ૨૦૨૦માં એમ્ફાન અને નિસર્ગ વાવાઝોડાએ પણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળ્યા હતા.

૨૦૧૮ના વર્ષમાં સૌથી વધુ ૭ વાવાઝોડા ત્રાટકયા હતા. ૬ ઓકટોબર ૨૦૧૮ના રોજ તિતલી વાવાઝોડાની અસરથી ઓડિશામાં ૭૭ અને આંધ્રપ્રદેશમાં ૮ લોકોના મોત થયા હતા. ત્યાર પછી ૧૦ નવેમ્બરના રોજ ગાજા વાવાઝોડુ  ૫૩ લોકોને ભરખી ગયું હતું. ૧૩ ડિસેમ્બરના રોજ ચક્રવાતી તોફાન ફેથાઇએ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં ભારે નુકસાન કર્યુ હતું. ભારતનો પશ્ચિમ કાંઠો વાવાઝોડા ઉદ્ભવવાની બાબતે પ્રમાણમાં શાંત ગણાય છે  પરંતુ આ વખતે ૫ દિવસ પહેલા સિઝનનું પ્રથમ વાવાઝોડુ તાઉ-તે જે લક્ષદ્રીપ પાસેથી ઉદભવ્યું હતું.

વિશ્વમાં 7 ટકા વાવાઝોડા હિંદ મહાસાગરમાંથી ઉદભવે છે

ભારતમાં 1967થી અત્યાર સુધી 125 વાવાઝોડા ત્રાટકયા છે, આ વર્ષમાં સૌથી વધુ ચક્રવાત ઉદભવ્યા હતા 3 - image

વિશ્વમાં જેટલા પણ વાવાઝોડા આવે છે તેમના ૭ ટકા હિંદ મહાસાગરમાંથી ઉદભવે છે. ચક્રવાતને દરિયામાં ઉછળતા મોજા વધારે ખતરનાક બનાવે છે. હવામાનખાતાની માહિતી મુજબ ચક્રવાતી ભારતમાં ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં બને છે અથવા તો ઉત્તર પશ્ચિમ પ્રશાંત સાગરમાં ઉદભવતા ચક્વાતનો અંશ હોય છે જે ક્રમશ હિંદ મહાસાગર તરફ આગળ વધે છે. ઉત્તર પશ્ચિમ પ્રશાંતસાગરમાંથી આવતા ચક્રવાત ભારે હોય છે તેની અસર હેઠળ બંગાળની ખાડીને પણ થાય છે. 

અરબસાગર પરના ચક્રવાત દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાંથી બને છે.  ઘણી વાર બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાતોનો પણ એક ભાગ હોય છે. ભારતમાં અરબ સાગર કરતા બંગાળની ખાડીમાં વાવાઝોડા વધારે ઉદભવે છે. મોટા ભાગના ચક્રવાતી તોફાનો જમીન વિસ્તાર સાથે ટકરાઇને નબળા પડે છે. ચક્રવાતની અસરથી કાંઠા વિસ્તારમાં પવન અને વરસાદ ઉપરાંત મોજા ઉછળવાથી દરિયાના પાણી ઘૂસી જવાથી જાન- માલને નુકસાન થાય છે. દેશના કાંઠા વિસ્તારમાં આવેલા તામિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ, કેરલ, ગુજરાત અને કર્ણાટક રાજયના લોકો વર્ષોેથી ચક્રવાતનો માર સહન કરતા આવ્યા છે.

છેલ્લા 12 વર્ષમાં આવેલા મુખ્ય વાવાઝોડા 

નામ - વર્ષ -        વિસ્તાર

 નિશા  ૨૦૦૮   તમિલનાડુનો કાંઠા વિસ્તાર

 થાણે    ૨૦૧૧   તમિલનાડુ અને પોંડિચેરી 

 નિલમ  ૨૦૧૨   તમિલનાડું કાંઠા વિસ્તાર

 મહાસેન ૨૦૧૩   તમિલનાડુ અને કેરલ 

 ફેલીન    ૨૦૧૩      ઓડિશા અને આંધ્રપ્રદેશ 

 હુડહુડ    ૨૦૧૪    ઓડિશા અને આંધ્રપ્રદેશ 

 તિતલી  ૨૦૧૮     ઓડિશા અને આંધ્રપ્રદેશ 

 ગાજા    ૨૦૧૮     તમિલનાડુ કાંઠા વિસ્તાર

 ફૉની    ૨૦૧૯     ઓડિશા કાંઠા વિસ્તાર 

વાયુ       ૨૦૨૦   ગુજરાતથી ઓમન તરફ ફંટાયું 

તાઉ-તે     ૨૦૨૧   - ગુજરાતનો કાંઠા વિસ્તાર 

Tags :