ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું

- સ્થાનિકોએ અકસ્માત નિવારવા આડશ મૂકી
- પુલ ઉપરથી 20 થી વધુ ગામના લોકો, એસટી બસ સહિતના વાહનો પસાર થતા અકસ્માતનો ભય
ઠાસરા નગરના બળિયાદેવ મંદિરથી સ્વામિનારાયણ મંદિર તરફ કાંસના પુલ ઉપર છેલ્લા છ મહિનાથી મોટો ખાડો પડયો છે. અજાણ્યા વાહન ચાલકો ખાડાંમાં પડે તો કાંસના ઊંડા પાણીમાં પડવા સાથે મોટા અકસ્માત અને જાનહાનિનો ભય છે.
આ રસ્તા ઉપરથી બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર સુધી એસટી બસો અને ખાનગી વાહનો પસાર થાય છે. ઠાસરાથી ગળતેશ્વર તાલુકાના ૨૦થી વધુ ગામાના લોકો, વિદ્યાર્થીઓની અવર- જવર છે. નડિયાદ, આણંદ અને વડોદરા શહેરોમાં જવા માટે પણ આ ગાબડાંવાળા કાંસ ઉપરથી પસાર થવું પડે છે.
અકસ્માત નિવારવા હાલ સ્થાનિકોએ આડશ મૂકી ગાબડું ઢાંકી દીધું છે. કાંસના ખાડાંની કોઈ સરકારી તંત્ર જવાબદારી લેવા તૈયાર ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પહેલા ગાબડું આરસીસીથી પૂરાય તેવી માંગણી સ્થાનિકોમાં ઉઠી છે.








