વડોદરા
શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારના બંધ મકાનમાં ત્રાટકેલા ચોરો રૂ 7 લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુભાનપુરા વિસ્તારમાં અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર ભાઈ ટંડેલે પોલીસને કહ્યું છે કે, ગઈ તા 28મીએ અમે લગ્ન પ્રસંગે બીલીમોરા ગયા હતા. મારી પત્ની બીજે દિવસે આવી હતી. તા.30મીએ અમે પરત ફર્યા ત્યારે મકાનના દરવાજાનો નકુચો અને તાળું તૂટેલું હતું તેમજ તિજોરી નો સામાન પલંગ પર વેરવિખેર હાલતમાં હતો.
તપાસ કરતાં ચોરો 12 તોલાના સોનાના દાગીના ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત ચોરો સોનાની બીજી ચાર ચેઇન તેમજ બે વીંટી પણ ચોરી ગયા હતા. જ્યારે ચાંદીના દાગીના અને રોકડા રૂ 25 હજાર પણ તેઓ ઉઠાવી ગયા છે. ગોરવા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


