ધ્રાંગધ્રા શહેરમાં સ્મશાનવાળા મેલડી માતાના મંદિરમાં ચોરી
- રોકડ, આભૂષણોની ચોરી કરી તસ્કરો ફરાર
- એક વર્ષમાં મંદિરમાં ચોથીવાર ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલ
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં ચોરીના બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં આવેલા સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરમાં ચોરી થઇ છે. બે બુકાનીધારી શખ્સો મોડી રાતના સમયે મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મંદિરમાં રાખેલી દાનપેટીની રોકડ રકમ તેમજ માતાજીના આભુષણોની ચોરી કરી નાસી છુટયા હતા. આ સમગ્ર ચોરીનો બનાવ સીસીટીવી કુટેજમાં પણ કેદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરમાં એક વર્ષમાં સતત ચોથી વખત ચોરીનો બનાવ બનતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે પોલીસ દ્વારા મંદિરમાં ચોરી કરનાર તસ્કરોને ક્યારે ઝડપી પાડવામાં આવે છે તે જોવું જ રહ્યું.