સુરેન્દ્રનગર શહેરમાં મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન
ચોટીલા, થાન, મુળી, લખતર, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટા બાદ વરસાદ ખાબક્યો
અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડવાથી લોકોએ ગરમીથી રાહત અનુભવી
સુરેન્દ્રનગર - સમગ્ર રાજ્યમાં ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃ૫ે સુુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં મોડીસાંજે પલટો આવ્યો હતો અને સાર્વત્રિક ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો ત્યારે અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં મોડીસાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ તેમજ ભારે પવન સાથે વાવઝોડા સાથે ધોધમાર વરસાદ પડયો હતો જ્યારે જીલ્લાના મુળી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન, લીંબડી, ચુડા, પાટડી, લખતર સહિતના તાલુકાઓમાં પણ મોડીસાંજે વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ભારેથી અતીભારે વરસાદ નોંધાયો છે. જ્યારે જીલ્લામાં ફરી વરસાદ ખાબકતા ખેડુતોના જીવ તાળવે ચોટયા છે અને ઉનાળુ પાકને આ વરસાદના કારણે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ છેલ્લા ૧૦ દિવસથી જીલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો લોકો સામનો કરી રહ્યાં હતાં ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા એકંદરે લોકોએ વરસાદથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જીલ્લાનું તંત્ર પણ સતર્ક બન્યું છે અને લોકોને સાવચેતીના ભાગરૃપે તાકીદ કરવામાં આવી છે.