મંદીનો માહોલ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ઘડિયાળ ઉદ્યોગને ટકાવવા એડવાન્સ ઓર્ડર જેટલું જ ઉત્પાદન કરવા અને ઉત્પાદન ઘટાડી યુનિટો ચાલુ રાખી કટોકટીભર્યા સમયને પસાર કરવા મહત્વનો નિર્ણય લેવાયો
મોરબી, : મોરબીમાં સો વર્ષથી જૂના અને આશરે 14000 મહિલાઓને રોજગારી પુરી પાડતા ઘડિયાળ ઉદ્યોગને વર્તમાન સમયમાં મંદીનો અને યુદ્ધની સ્થિતિનો બેવડો માર ખમવાની નોબત આવી છે. અહી મળેલી એસોસિએશનની બેઠકમાં આ ઉદ્યોગને તાળા મારવાના બદલે એડવાન્સ ઓર્ડર જેટલું જ ઉત્પાદન કરવા અને ઉત્પાદન ઘટાડી યુનિટો ચાલુ રાખી કટોકટીભર્યા સમયને પસાર કરવા નિર્ણય લેવાયો છે.
મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનની તાજેતરમાં એક જનરલ મીટિંગ યોજાઈ હતી. પાર્ટ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા 200 જેટલા યુનિટ્સમાંથી 185 ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. આ બેઠકમાં છેલ્લા એક વર્ષથી ઘડિયાળ બજારમાં મંદીનો માહોલ છે ે તેમાં બાકી રહેતું હોય એમ પ્લાસ્ટિકના કાચા માલ (રો મટીરીયલ)ના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડિમાન્ડ ન હોવા છતાં ઉત્પાદન ખર્ચ વધતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, 95% નાના ઉદ્યોગકારો સર્વાઈવ કરી શકે તે માટે શટડાઉન લેવાના બદલે ઉત્પાદન ઘટાડવાની નીતિ અપનાવવામાં આવી છે. હવે માત્ર નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શન કરવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દાઓ ઉપર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના ક્લોક ઉદ્યોગની ઘડિયાળ વિશ્વના 180 દેશોમાં જાય છે. જેમાં યુદ્ધગ્રસ્ત મીડલ ઈસ્ટના દેશોનો પણ સમાવેશ થાય છે. જયારે વેસ્ટર્ન કન્ટ્રીમાં ઘડિયાળનુું વેચાણ ઓછું છે.


