Get The App

ગ્રીન સિટી અંગેનુ સત્ય સામે આવશે , અમદાવાદમાં વૃક્ષ ગણતરી કરવા ગાર્ડન વિભાગને આદેશ

પાંચ વર્ષમાં ૫૫.૩૮ લાખ રોપા રોપવા સામે ૨૨.૧૫ લાખ રોપા કરમાઈ ગયા

Updated: Sep 30th, 2023

GS TEAM


Google News
Google News

   ગ્રીન સિટી અંગેનુ સત્ય સામે આવશે , અમદાવાદમાં વૃક્ષ ગણતરી કરવા ગાર્ડન વિભાગને આદેશ 1 - image  

  અમદાવાદ,શનિવાર,30 સપ્ટેમબર,2023

અમદાવાદને ગ્રીન સિટી બનાવવા મિશન મિલીયન ટ્રી અભિયાન હેઠળ પાંચ વર્ષમાં ૫૫.૩૮ લાખ રોપા મ્યુનિ.ના ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં રોપવામાં આવ્યા હતા.રોપવામાં આવેલા રોપા પૈકી ૨૨.૧૫ લાખ રોપા યોગ્ય માવજત ના કરાતા કરમાઈ ગયા હતા.શહેરના તમામ ૪૮ વોર્ડમાં વૃક્ષ ગણતરી કરી ખરેખર કેટલા હયાત વૃક્ષ છે એ અંગેનો સત્તાવાર રીપોર્ટ આપવા સ્ટેન્ડિંગ કમિટીએ આદેશ કર્યો છે.

થોડા સમય અગાઉ કરવામા આવેલા રેન્ડમ સર્વે બાદ શહેરમાં રોપવામા આવેલા રોપા પૈકી ૪૦ ટકા રોપા કરમાઈ ગયા હોવા તેમજ ૬૦ ટકા વૃક્ષમાં પરિવર્તિત થયા હોવાનો દાવો કરવામા આવ્યો હતો.વર્ષ-૨૦૨૨-૨૩માં શહેરના વિવિધ વિસ્તારમાં ૨૧ લાખ રોપા રોપવાના લક્ષ્યાંક સામે ૨૦.૭૫ લાખ રોપા રોપવામા આવ્યા હતા.પાંચ વર્ષમાં ૫૫.૩૮ લાખ રોપા રોપવા પાછળ રુપિયા ૨૦ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામા આવ્યો હતો.મ્યુનિસિપલ કમિશનરે પણ વીકલી રીવ્યુ કમિટીની બેઠકમાં મ્યુનિ.માં ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડીરેકટર જિજ્ઞેશ પટેલને પ્લાન્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલ અગાઉ કર્યા હતા.ગાર્ડન વિભાગ તરફથી અમદાવાદનો ગ્રીન કવર એરિયા ૧૦થી ૧૨ ટકા સુધી પહોંચ્યો હોવાનો દાવો કરાઈ રહયો છે.આ પરિસ્થિતિમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદમાં સત્તાવાર રીતે વૃક્ષ ગણતરી કરી સંપૂર્ણ રીપોર્ટ આપવા ગાર્ડન વિભાગના ડીરેકટરને આદેશ કરાયો હતો.

Tags :