Ambaji News : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલાં કોટેશ્વરમાં આસ્થા સાથે શોકનો મેળો યોજાઈ છે. ફાગણ વદ તેરસના દિવસે ભરાતાં આ મેળામાં પોતાના સ્વજનોની યાદમાં લોકો આક્રંદ કરતા જોવા મળે છે. આદિવાસી સમાજની સામૂહિક અસ્થિ વિસર્જનની આ જૂની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
કોટેશ્વરમાં સામૂહિક અસ્થિ વિસર્જનની પરંપરા
અંબાજીના કોટેશ્વરમાં સરસ્વતી નદીના તટ ઉપર નવહતીનો મેળો યોજાઈ છે. જેમાં વર્ષ દરમિયાન મૃત્યુ થનારા પોતાના સ્વજનોની અસ્થિને વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં આદિવાસી આવે છે. મળતી માહિતી મુજબ, આ મેળો પહેલા રાત્રિના સમયમાં યોજાતો હતો, પરંતુ છેલ્લા 14 વર્ષથી ગરાસિયા સમાજના આગેવાનો દ્વારા રાત્રિ મેળો બંધ કરાયો હતો.
કોટેશ્વર મહાદેવ મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, 'આદિવાસી સમાજના લોકો પોતાના સ્વજનોની અસ્થિને સાચવીને રાખીને અહીં સરસ્વતી નદીમાં વિસર્જન કરે છે. જ્યારે હવે જે બાકી રહ્યાં છે તેઓ આગામી સોમવારના દિવસે પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે છે.'


