હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા
- પાળિયાને બાંધવા રક્ષા સુત્ર પણ વિદ્યાર્થિનીઓ જાતે જ બનાવે
- વિદ્યાર્થિનીઓએ વીરગતિ પામેલા નરબંકાઓના પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
હળવદ : છોટાકાશી તરીકે પ્રસિદ્ધ હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે અને શહેરની રક્ષા કરે છે. આવા નરબંકા પાળિયાઓને છેલ્લા આઠ વર્ષથી સરકારી શાળાની ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓનીઓ પાળિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે.
યુદ્ધમાં શૂરવીરતા બતાવી પોતાનું પ્રાણ ત્યાગનાર શૂરવીરોનેની હાથ ખાલી ન રહે અને તેને લઈને આ નરબંકા શૂરવીરોને રાખડી બાંધવાનો વિચાર શિક્ષક દિપકભાઈ ચૌહાણને આવ્યો હતો. યુદ્ધમાં ગાયોની રક્ષા માટે બહેન દીકરીઓની રક્ષા માટે કે સીમાડાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નરબંકા શૂરવીરોને વીરત્વ પ્રગટે અને તેમને પણ રક્ષાબંધન પર્વએ કોઈ બહેન રાખડી બાંધે અને કોઈની પણ કલાઈ સુની ન રહે એવા હેતુથી રક્ષાબંધન પર્વની ઉજવણી છેલ્લા ૮ વર્ષથી કરવામાં આવી રહી છે. આ કાર્યનું વર્ષ ૨૦૨૫માં નવમું વર્ષ પૂર્ણ થયું છે. પરંપરા મુજબ, શાળાની નાની બાળિકાઓ હળવદ ખાતે આવેલ ઐતિહાસિક સ્થળો 'સતીની ખાંભી' તથા 'સુરાપુરાની ખાંભી' ખાતે જઈને ત્યાં રક્ષા બાંધે છે. આ રક્ષા માત્ર દોરી નથી, પણ એ એક સંકલ્પ છે. મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને ઐતિહાસિક સંસ્કૃતિની જાળવણી માટેનો છે. આ રક્ષાબંધન પર્વમાં પાળિયાઓને રાખડી બાંધવા રક્ષા સુત્ર પણ વિદ્યાર્થીનીઓ જાતે જ બનાવે છે અને ભવાની ભુતેશ્વરી માતાજી સમક્ષ સિદ્ધ કરીપૂજા અર્ચના બાદ રક્ષાબંધન પર્વની રાખડીઓ પાળિયાને બાંધી અનોખી ઉજવણીની કરવામાં આવે છે.