Gujarat

જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી

By GS TEAM
14 Oct 20252 mins read
જૂના પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી

વડોદરા,પાણીગેટ રાજારાણી તળાવ નજીક જુગાર ધામ ચલાવતા નામચીન આરોપીઓ સામે ભૂતકાળમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે.   વારંવાર ગુનાઓ કરતા આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર  દ્વારા તાકીદ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાણીગેટ રાજારાણી તળાવના કિનારે ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૧૨જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે જુગારધામના સંચાલક સહિત ૨૨ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જુગારધામ ચલાવતા બે ભાઇઓ  અફઝલખાન ઉસ્માનખાન પઠાણ ઉર્ફે અન્નુ બોગસ તથા હુસેનખાન ઉસ્માનખાન પઠાણ (બંને રહે. કલ્યાણ નગર, અજબડી મિલ પાસે, પાણીગેટ) માથાભારે છે. તેઓનો વિસ્તારમાં ભય છે. જેના કારણે સામાન્ય લોકો તેઓની વિરૃદ્ધ ફરિયાદ કરતા પણ ડરતા હોય છે. વર્ષો અગાઉ જ્યારે આ ધંધા પર પાણીગેટ પોલીસે રેડ પાડી ત્યારે આરોપીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ધમાલ કરી હતી. વાયરલેસ સેટ અને પી.એસ.ઓ. ટેબલ પરના ફોનની પણ આરોપીઓએ તોડફોડ કરી હતી. હુસેનખાન સામે  છેલ્લા ૧૫ વર્ષમાં  ૧૧ ગુનાઓ નોંધાયા  છે. જેમાં મારામારી, રાયોટિંગ,  જુગારધારા અને ચોરીના ગુનાઓ નોંધાયા છે. તેની સામે એક વખત  પાસા  પણ થઇ છે. જ્યારે  અન્નુ સામે ૧૯ ગુનાઓ નોંધાયા છે. બંને ભાઇઓ માથાભારે છે. તેમછતાંય ખુલ્લેઆમ જુગારનો ધંધો કરે છે. તેઓને કોનું પીઠબળ છે ? તે અંંગે પણ તપાસ થવી જરૃરી છે. જુગારના કેસની તપાસ વાડી પોલીસને સોંપવામાં આવી છે. વાડી પોલીસે ૧૨ જુગારીઓને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.  જ્યારે જુગારધામના સંચાલક સહિત ૨૨ આરોપીઓ પૈકી એકપણ હજી પકડાયો નથી.


વર્ષોથી એક જ જગ્યાએ ધમધમતા જુગારધામની જગ્યાની માલિકી કોની ?

 વડોદરા,

હુસેન અને અફઝલ એક જ સ્થળે વર્ષોથી જુગારધામ ચલાવે છે. આ જગ્યા ખુલ્લી છે. આ જગ્યા તેઓની માલિકીની છે કે,  પછી અન્ય કોઇની ? તે અંગે પણ તપાસ થવી જરૃરી છે. જમીન માલિક સામે પણ કાર્યવાહી કરવી જોઇએ. આ જગ્યા જો સરકારી હોય તો તેના પર ગુનાઇત પ્રવૃત્તિ કરનાર સામે તંત્ર  દ્વારા લાલ આંખ થવી જરૃરી છે.