Gujarat

વડોદરાના રાજવી સયાજીરાવ જ્યાં ભણ્યા હતા તે સરકારવાડાનો દાદર એક મહિનાથી લટકી રહ્યો છે

By GS TEAM
23 May 20261 min read
વડોદરાના રાજવી સયાજીરાવ જ્યાં ભણ્યા હતા તે સરકારવાડાનો દાદર એક મહિનાથી લટકી રહ્યો છે

વડોદરાઃ વડોદરા નગરી જેના નામથી ઓળખાય છે તે દૂરદર્શી રાજવી સયાજીરાવ ગાયકવાડ જ્યાં ભણ્યા હતા તે સરકારવાડાની ઇમારતનો તૂટેલો દાદર એક મહિના પછી પણ અધ્ધર લટકી રહ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી જોવાઇ રહી છે.

વડોદરાના માંડવી દરવાજા પાસે સેન્ટ્રલ લાયબ્રેરી સામે આવેલી સરકારવાડા ઇમારત વડોદરાના રાજવી પરિવારના ઇતિહાસનો એક ભાગ છે.આ સ્થળ વડોદરાના રાજવી પરિવારનું પહેલું રહેઠાણ હતું.વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ આ ઇમારતમાં બાળપણ વીતાવ્યું હતું અને તેમનું શિક્ષણ પણ આ ઇમારતમાં થયું હતું.

વડોદરાની ઉપરોક્ત ઐતિહાસિક ધરોહરની કોઇ દરકાર નહિ લેવાતાં એક મહિના પહેલાં તેનો ઉપરના માળનો દાદર ધડાકાભેર તૂટી પડયો હતો.આશ્ચર્યની વાત એ છે કે,હજી પણ આ ઇમારતનો ભાગ જે તે સ્થિતિમાં જ લટકી રહ્યો છે.તંત્રએ માત્ર ગેટ બંધ કરાવીને અવરજવર અટકાવી છે.

આ સિવાય તૂટેલા દાદર કે તેની આસપાસના ભાગને ઉતારવાની પણ દરકાર લીધી નથી,જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત સેવાઇ રહી છે.