Gujarat

૧૩ હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે, જમાલપુરમાં બિલાલ શેખના બાંધકામ સહિત ૩૦ દુકાનો તોડાઈ

By GS TEAM
11 Nov 20252 mins read
૧૩ હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે, જમાલપુરમાં બિલાલ શેખના બાંધકામ સહિત ૩૦ દુકાનો તોડાઈ

અમદાવાદ,મંગળવાર,11 નવેમ્બર,2025

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ૧૬ વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને મેગા ડિમોલીશન હાથ ધર્યુ હતુ.ઉંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામા કુખ્યાત બિલાલ શેખના બાંધકામ સહિત કુલ ૩૦ દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગે તોડી પાડી હતી.જમાલપુર ત્રિકમજીના મંદિરની જગ્યા પચાવી પાડનાર બિલાલ ગેરકાયદેસર દબાણ કરી ભાડા વસૂલતો હતો.કોર્પોરેશન તેની કામગીરી હજુ એક-બે દિવસ ચલાવશે તથા ૧૩ હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

જમાલપુરમાં લાટી બજાર તરીકે જાણીતી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટેથી આપવામા આવી હતી. ભાડા પટ્ટેથી આપવામા આવેલી જગ્યાનો કરાર વર્ષ-૨૦૦૯માં પુરો થઈ ગયો હતો.આમ છતાં જે તે સમયના મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અન્ય કોઈ અધિકારીઓ દ્વારા જગ્યાનુ ફરીથી પઝેશન મેળવવા કોઈ નકકર કાર્યવાહી કરવામા આવી નહોતી.વર્ષ-૨૦૦૯થી બિલાલ શેખ દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરવાની સાથે ગેરકાયદેસર ઉભી કરી દેવામા આવેલી દુકાનોના ભાડા વસૂલવામા આવતા હતા. બિલાલ ઉપરાંત હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખ વિરૃધ્ધ અનેક ગુના નોંધાયેલા છે.ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા પણ બિલાલ શેખ વિરૃધ્ધ ગુનો નોંધાયેલો છે.૧૬ વર્ષથી કોર્પોરેશનની જગ્યામા ગેરકાયદેસર બાંધકામ કરી જગ્યા પચાવી પડાઈ હતી.આ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગોઠવણ કરી દુકાનો ઉભી કરી ગેરકાયદેસર રીતે ભાડા પણ વસૂલાતા હતા.છતાં કોર્પોરેશનના અત્યાર સુધીના હોદ્દેદારોએ પણ આ સમગ્ર મામલે કામગીરી કરવાનુ તો દુર પણ કંઈ બોલવા અંગે પણ ચૂપકીદી સેવી લીધી હતી.

હનીફ દાઢીનો પુત્ર શહેર ભાજપમાં મહામંત્રી -ભાજપના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ

જમાલપુરમાં કોર્પોરેશનની જગ્યામા ગેરકાયદેસર દબાણ કરનારા બિલાલ શેખનો ભાઈ સોએબ શેખ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. હનીફ દાઢીના બે પુત્ર પૈકી સૌએબ ભાજપ શહેર સંગઠનમાં સક્રીય છે અને ભાજપના અનેક નેતાઓ સાથે તેને ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે પણ જમાલપુરમાં કોર્પોરેશનની જગ્યા અત્યારસુધી ખાલી કરાવાતી નહોતી એવુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.