Get The App

મહી નદી ખાતે સિંધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ ની કામગીરી પૂર્ણતાના આરે

Updated: Feb 4th, 2022

GS TEAM

Google News
Google News
મહી નદી ખાતે સિંધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ ની કામગીરી પૂર્ણતાના આરે 1 - image

- વડોદરાના દક્ષિણ વિસ્તારને એપ્રિલ સુધીમાં 50 એમએલડી પાણીનો જથ્થો મળશે

વડોદરા, તા. 04 ફેબ્રુઆરી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તકલીફ દૂર થાય તે માટે સિંધરોટ ખાતે ચાલતા પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું કરવાનું આયોજન હાથ ધર્યું છે. મહી નદીમા સિંધરોટ ખાતે ઇનટેકવેલ અને પાણીની લાઇન નાખવા તથા વડોદરા સુધી નું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. બે મહિનામાં કામ પૂર્ણ થઇ જાય તેવી સંભાવના છે. અમૃત યોજના હેઠળ સિંધરોટ ખાતે 150 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે 16 કિલોમીટર લંબાઇમાં ટ્રાન્સમિશન લાઈન નાખી શહેર સુધી પાણી લવાશે. આ પ્રોજેક્ટ આશરે રૂપિયા 165 કરોડના ખર્ચે બની રહ્યો છે. હજી થોડા સમય અગાઉ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ એ પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

પાણીની જે લાઇન નાખવાની છે તેમાં હવે થોડું કામ બાકી રહ્યું છે અને કામગીરી પૂરી થવામાં છે. ઇનટેકવેલ માટે 22 મીટર ઊંચું ફાઉન્ડેશન બનાવ્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 37 એમએલડિ ક્ષમતાના ચાર છે. પ્રથમ તબક્કામાં બે પ્લાન્ટ ચાલુ કરાશે જેનાથી દક્ષિણ વિસ્તારને હાલની 50 એમ એલ ડી.ની જે અછત  છે તે દૂર થશે. દક્ષિણ ઝોનમાં પાણીનો ખૂબ જ ગંભીર પ્રશ્ન હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ મુકાયો છે અને એપ્રિલ સુધીમાં દક્ષિણને પાણી મળી રહેશે. દંતેશ્વર, જાંબુઆ ,અલવાનાકા તરસાલી ,માંજલપુર વગેરે વિસ્તારમાં પાણીના પ્રશ્નો છે. કોરોનાના  લીધે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ થયો છે. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે, તેમ દક્ષિણ વિસ્તારના કોર્પોરેટરોનું કહેવું છે.

મહી નદી ખાતે સિંધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ ની કામગીરી પૂર્ણતાના આરે 2 - image