કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવી લોકોના મુદ્દા આંદોલન તરીકે લઈ જઈ મિશન ૨૦૨૭નો રોડ મેપ નક્કી કરાશે

વડોદરા,તા.૨૬, ૨૭ અને ૨૮ ના રોજ આણંદમાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર યોજાઈ રહી છે, જેમાં પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજરી આપી સંબોધન કરવા આવી રહ્યા છે.
તા.૨૬ની સવારે ૧૦ વાગ્યે રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી આણંદ જવા રવાના થશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સંગઠનની સમીક્ષા કરીને સંગઠન વધુ મજબૂત બનાવી આવનાર સમયમાં લોકોના મુદ્દાઓને આંદોલન તરીકે લોકો વચ્ચે લઈ જઈ મિશન ૨૦૨૭ નો રોડ મેપ નક્કી કરાશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનની સાથે સાથે કમિશનનું શાસન છે. ભાજપના મળતિયાઓના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ લડત આપવા જઈ રહી છે. સહકારી ક્ષેત્ર અને દૂધ સંઘોમાં સભાસદો આજે ભ્રષ્ટાચાર સામે પોતાનો અવાજ ઉઠાવીને પોતાના અધિકારો અને હક માગી રહ્યા છે. રાહુલ ગાંધી સહકારી અને દૂધ સંઘના આગેવાનો અને સભાસદો સાથે પણ સંવાદ કરી તેઓની વ્યથા સાંભળશે.








