Gujarat

સર્કલોને જોડતાં રસ્તે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત ઝોન બન્યા

By GS TEAM
15 Jun 20252 mins read
સર્કલોને જોડતાં રસ્તે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત ઝોન બન્યા

- પુરપાટ દોડતા વાહનોને બ્રેક જરૂરી

- લાલાબાપા ચોક અને લીલાસર્કલને જોડતાં રસ્તા પર નાના મોટા અકસ્માતો કાયમી સમસ્યા બની

ભાવનગર : શહેરના બિસ્માર રસ્તા ઉપરાંત ચોક્કસ સર્કલ નજીકના ચાર રસ્તે સ્પીડબ્રેકરના અભાવે આ વિસ્તારો અકસ્માતના ઝોન બન્યા છે. હાલ ચોતરફ રોડ નવિનીકરણના કામો ચાલી રહ્યા છે. ત્યારે ભરતનગર લાલાબાપા ચોક અને લીલાસર્કલના ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા માંગણી ઉઠી છે.

શહેરનો હદ વિસ્તાર વિસ્તરતો જાય છે અને શહેરના છેવાડામાં પણ રહેણાકો બનવા લાગ્યા છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા પણ વકરી છે. એક તરફ શહેરમાં વિકાસ કામોના નામે આડેધડ ખોદકામ કરી નાંખવામાં આવ્યું છે જેના કારણે શહેરનો મુખ્ય કહી શકાય તેવોએકપણ રસ્તો સારો રહ્યો નથી. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો નાના-મોટા અકસ્માતના ભોગ બની રહ્યા છે તેવામાં શહેરના સીદસર રોડ પર આવેલ લીલા સર્કલને જોડતાં ચાર રસ્તા પર સતત વધી રહેલાં ટ્રાફિકના કારણે આ સર્કલ નાના-મોટા અકસ્માતાને લઈ દિવસેેને દિવસે જોખમી સાબિત થઈ રહ્યું છે. તળાજા જકાતનાકાથી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ટોપ થ્રી સર્કલથી વિરાણી સર્કલ જતા વચ્ચે આવતા આ લીલા સર્કલના ચોકને જોડતાં રસ્તા પર એકપણ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે પુરપાટ ઝડપે આવતા ટૂ વ્હીલ કે ફોર વ્હીલ વાહન કાબુ ગુમાવતા હોય નાના-મોટા અકસ્માતો કાયમી સમસ્યા બની છે. તે જ સ્થિતિ ભરતનગર જતા લાલાબાપા ચોકની પણ છે. જ્યા અકસ્માતો નિયમિત બન્યા છે. ત્યારે રોડ વિભાગ દ્વારા આ વિસ્તારોમાંસ્પીડ બ્રેકર મુકવામાં આવે તો વાહનોની ગતિ અવરોધી શકાય અને અકસ્માતો પણ અટકાવી શકાય તેવી સ્થાનિક રહિશોએ માંગ કરી છે.