Get The App

અમીપુરામાં રસ્તામા ગોઠણસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની નોબત

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
અમીપુરામાં રસ્તામા ગોઠણસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની નોબત 1 - image


- રસ્તામાં પાણીનો નિકાલ ન થતાં હાલાકી

- સ્કૂલે જતાં બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર, રજૂઆતો છતાં સમસ્યા અધ્ધરતાલ

બગોદરા : બાવળા તાલુકાના અમીપુરા ગામમાં વર્ષોથી ચાલી આવતી ગંદકીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે નક્કર વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસ દરમિયાન રસ્તા પર અઠવાડિયાઓ સુધી પાણી ભરાઇ રહે છે જેના કારણે કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. તાજેતરમાં વરસાદી પાણીમાંથી ડાઘુઓએ સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડી હતી.

અમીપુરા ગામમાં વર્ષોથી સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. ગામના મુખ્ય માર્ગો હોય કે અંદરની ગલીઓ, સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. કચરાના ઢગલામાંથી દુર્ગંધ આવે છે. ખુલ્લી ગટરોને કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ન હોય ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસે છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને ઝાડા-ઊલટી જેવા રોગોનું જોખમ વધી જાય છે. તેમજ ગોઠણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. તાજેતરમાં એક વ્યક્તિનું મૃત્યું થતાં ડાઘુઓએ રસ્તા પરથી ભરાયેલા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડી હતી. 

ગ્રામજનોએ રસ્તા પર વરસાદી પાણી ભરાઇ રહેવાની અને ગંદકી અંગે અનેક વખત સ્થાનિક પંચાયત અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરી છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે અમીપુરા ગામની આ સ્થિતિ ચિંતાજનક છે.

સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલન કરીશું : ગ્રામજનો

અમીપુરાના ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક આ સમસ્યા પર ધ્યાન આપી, ગામમાં સ્વચ્છતા જાળવવા અને રોગચાળાને અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. ગામમાં નિયમિત સફાઈ થાય, કચરાનો યોગ્ય નિકાલ થાય અને ગટર વ્યવસ્થા સુધારવામાં આવે તેવી માંગણી કરી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા અમીપુરા ગામની આ ગંભીર સમસ્યાનો ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે તે જોવું રહ્યું.


Tags :