શિક્ષકોને છઠ્ઠા પગારપંચનો લાભનો ટ્રિબ્યુ.નો હુકમ બહાલ, અમદાવાદ એજયુ. સોસા.ની રિટ ફગાવી
Updated: Sep 23rd, 2022
અમદાવાદ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
અમદાવાદ એજયુકેશન સોસાયટી સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા અંગેના એજયુકેશન ટ્રિબ્યુનલના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો છે. ગુજરાત એજયુકેશનલ ઇન્સ્ટીટયુશન સર્વિસીસ ટ્રિબ્યુલના હુકમને પડકારતી અમદાવાદ એજયુકેશન સોસાયટી દ્વારા કરાયેલી રિટ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
ગુજરાતી માધ્યમના પ્રાથમિક શિક્ષકોને પગારપંચનો લાભ આપવા હુકમ કરાયો હતો
અમદાવાદ એજયુકેશન સોસાયટી તરફથી કરાયેલી રિટ અરજીનો વિરોધ કરતાં શિક્ષકો તરફથી જણાવાયું હતું કે, તેઓ ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે પરંતુ સોસાયટી સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષકોનો પગાર તેમના કરતાં વધારે હોય છે અને ફરજનો પ્રકાર એકસમાન હોવાછતાં તેમને છઠ્ઠા પગારપંચના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. અમદાવાદ એજયુકેશન સોસાયટી તરફથી ટ્રિબ્યુનલના હુકમને અયોગ્ય અને ગેરકાયદે હોઇરદબાતલ ઠરાવવા માંગણી કરાઇ હતી. જો કે, તે રજૂઆત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને ટ્રિબ્યુનલના હુકમને કાયમ રાખ્યો હતો.