અમદાવાદ,બુધવાર,22 એપ્રિલ, 2026
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બેકાબૂ બી.આર.ટી.એસ. બસ
પ્રહલાદ પાર્ક સોસાયટીના પરિસરમાં બિલ્ડિંગની દિવાલ તોડીને ઘૂસી જતા ગંભીર અકસ્માત
સર્જાયો હતો.આ ઘટનાને કારણે રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે કોઈને ઈજા કે
જાનહાની થવા પામી નહોતી.આ ઘટનાને પગલે ટ્રાવેલ ટાઈમ નામના ઓપરેટરને જનમાર્ગ દ્વારા
બે લાખ રુપિયા પેનલ્ટી કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગત અનુસાર , ચાંદખેડામાં પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે બી.આર.ટી.એસ.નું
સર્વિસ સ્ટેશન આવેલુ છે.બુધવારે સવારના ૮ કલાકના સુમારે સર્વિસ સ્ટેશનમાં લાવવામા
આવેલી બસ લઈ ચાલક આગળ લઈ જતો હતો એ સમયે બ્રેક નહીં લાગતા સર્વિસ સ્ટેશનની દિવાલ અને પેરાફિટ ઓળંગીને બસ
બાજુમા આવેલ પ્રહલાદપાર્ક સોસાયટીના બિલ્ડિંગ પરિસરમાં ખાબકતા બિલ્ડિંગના પીલરના
ભાગને નુકસાન થયુ હતુ.જયારે બસના આગળના ભાગે ભારે નુકસાન થયુ હતુ.સદનસીબે અકસ્માત
સમયે બિલ્ડિંગના નીચેના ભાગમાં કે બસની
આસપાસ કોઈ વ્યકિત હાજર નહીં હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી.જો કે સોસાયટીના રહીશો
બસ આ રીતે બિલ્ડિંગ પરિસરમાં ઘૂસી આવતા ભયભીત બન્યા હતા.


