Gujarat

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે

By GS TEAM
7 Mar 20262 mins read
મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે

- મંદીમાં સપડાયેલા શિપ રિસાક્લિંગ ઉદ્યોગને યુદ્ધનું ગ્રહણ

- તણાવની સ્થિતિ વચ્ચે મધ્ય પૂર્વના દેશોમાંથી નવા શિપ ખરીદવાનું શિપ બ્રેકરો ટાળી રહ્યાં છે

ભાવનગર : મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ સમગ્ર વિશ્વના અર્થતંત્રને પ્રભાવિત કરી રહી છે. ભાવનગરનો શિપ રિસાક્લિંગ ઉદ્યોગને પણ તેનાથી પ્રભાવિત થયો છે. શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિના પગલે હવે શિપ બ્રેકરો ખાડીના દેશો તરફથી આવતા નવા શિપો ખરીદવાનું ટાળી રહ્યાં છે ત્યારે ગત ફેબુ્રઆરીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળ્યા બાદ આગામી દિવસોમાં અલંગમાં આવતા શિપોની સંખ્યામાં ઘટશે.

મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિના પગલે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ એવા શિપ રિસાક્લિંગ ઉદ્યોગ પણ યુદ્ધની સ્થિતિથી પ્રભાવિત થયો છે. શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર મધ્ય પૂર્વના દેશોમાં હાલ તણાવની સ્થિતિના પગલે હવે શિપ બ્રેકરો ખાડીના દેશો તરફથી આવતા નવા શિપો ખરીદવાનું ટાળી રહ્યાં છે અને વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં આવી ગયા છે. ફેબુ્રઆરી માસમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ છેલ્લા દિવસોમાં આંતરરાષ્ટ્રીય પરિબળોમાં ફેરફાર આવતા ફરી શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે. શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર મધ્ય પૂર્વ તરફથી અલંગ આવી રહેલા આશરે ૧૦ શિપ ફસાયા છે. જોકે આ મામલે જીએમબી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ મધ્ય પૂર્વની સ્થિતિ શિપ બ્રેકિંગ ઉદ્યોગને નકારાત્મક અસર કરશે. ઓછામાં પુરું ઈન્ડસ્ટ્રીયલ ગેસ પર સરકારે કાપ મુકતા અલંગમાં ગેસથી થતાં શિપના કટિંગની કામગીરી પર પણ અસર પડશે.