અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના નવા બિલ્ડિંગને ખૂલ્લું મૂકાયું
- ભદ્રની જૂની કોર્ટ તોડી પાડી બનાવાયેલા
- ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેના હસ્તે ઉદઘાટન
અમદાવાદ, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના નવનિર્મિત બિલ્ડીંગને આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અનંત દવેના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. જસ્ટિસ અનંત દવેએ કહ્યું હતું કે બિલ્ડીંગનું ઉદઘાટન ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ, રામનવમી તેમજ ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસના રોજ કરવામાં આવ્યું છે, જે અદભૂત સંયોગ ગણાય. ઉપરાંત આ સંકુલ મંદિર, મસ્જીદ અને ચર્ચ વચ્ચે આવેલું છે, જે સર્વધર્મ સમભાવની પ્રતીતિ કરાવે છે.
ભદ્ર વિસ્તારમાં ઓલ્ડ કોર્ટ તરીકે ઓળખાતી આશરે ૧૦૦ વર્ષ જૂની કોર્ટની ઇમારતને તોડીને બનાવવામાં આવેલા નવ માળના નવા બિલ્ડીંગનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગમાં એક સાથે ૫૪ કોર્ટરૃમ એકસાથે કામગીરી કરી શકે તેવી વ્યવસ્થઆ ગોઠવવામાં આવી છે. લાલ દરવાજા બહુમાળી ભવન ખાતેની સ્મોલ કોઝ કોર્ટ પણ હવે અહીં ટ્રાન્સફર કરવામાં આવી છે.
જસ્ટિસ અનંત દવે એ કવિ આદિલ મનસૂરીની જાણીતી પંક્તિઓ 'નદીની રેતમાં રમતું આ નગર હવે મળે ન મળે' દ્વારા સંબોધનની શરૃઆત કરી અમદાવાદ શહેર અને કોર્ટ સંકુલની ઐતિહાસિકતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સંકુલ ગુજરાત ક્લબના પ્રાંગણમાં બન્યું છે.
અહીંની ઓલ્ડ કોર્ટ તેમજ ગુજરાત ક્લબ ભારતની સ્વતંત્રતાની ચળવળમં પાયારૃપ હતા તેવું કહી શકાય, કારણ કે સરદાર વલ્લભભાઇ અને દાદા માવલંકર અહીં વકીલાત પણ કરતા અને ગુજરાત ક્લબમાં બ્રિજની રમત પણ રમતા હતા. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તેમજ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના એડમિનિસ્ટ્રેટિવ એ.જે. દેસાઇ અને અમદાવાદ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ જાનીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું અને વિવિધ કોર્ટના જજ, વકીલો તેમજ અન્ય અધિકારીઓ સમારોહમાં હાજર રહ્યા હતા.