નશામાં ધૂત પીએસઆઇએ દારૃની બોટલ ક્યાંથી લાવી તેનું રહસ્ય અકબંધ,GST અધિકારીનો જવાબ લેવાશે
વડોદરાઃ છાણીમાં નશામાં ધૂત પીએસઆઇએ દારૃની બોટલો ક્યાંથી મેળવી હતી તેનો ભેદ ઉકેલાય તેવી શક્યતા નહિવત્ દેખાય છે.
ફર્ટિલાઇઝર બ્રિજ પાસે શનિવારે રાતે વતનમાં જતા રાજપીપળાના ટ્રાફિક વિભાગના પીએસઆઇ યોગેન્દ્રસિંહ એચ પઢિયાર દારૃના નશામાં કાર ચલાવતા હોવાથી બે થી ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા.જે પૈકી જવાહરનગર પોલીસની બે મહિલા પોલીસ વડાપ્રધાનના પોલીસ બંદોબસ્તના રીહર્સલમાંથી પરત જતી હોવાથી તેમને અકસ્માત થતાં પીએસઆઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાની તપાસ કરતા છાણીના પીએસઆઇ આર બી ચારેલે સાક્ષીઓના નિવેદન લીધા હતા.જ્યારે,પીએસઆઇની કારથી જીએસટીના અધિકારીની કારને નુકસાન થતાં તેમની કારના નંબરને આધારે આસિ.કમિશનરને જવાબ લેવા બોલાવવામાં આવશે.જો તેઓ નહિ આવે તો પોલીસ તેમની ઓફિસે જઇ નિવેદન લેશે.
તો બીજીતરફ જેલમાં ગયેલા સસ્પેન્ડેડ પીએસઆઇએ દારૃની બે બોટલ કોની પાસેથી લીધી તેનું રહસ્ય હજી ખૂલી શક્યું નથી.