Get The App

દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ 1 - image

જૂજ પરિવરો દ્વારા જળવાતો મહામૂલો વારસો 

કારતક અમાસે દિપદાન ઉત્સવ, કિર્તન- લંગરના કાર્યક્રમો, ઇન્દ્ર માનભંગ લીલા અને મહાવીર સ્વામી મોક્ષ સિદ્ધિની ઉજવણી 

રાજકોટ : દિવાળીના પવિત્ર તહેવારમાં પરંપરાગત વિવિધ ઉત્સવોની ઉજવણી થતી હોય છે. વિવિધ ધર્મ અને સંપ્રદાય પ્રમાણે દિપાવલીનું મહત્ત્વ જુદું હોવાથી ઉત્સવોમાં વૈવિધ્ય જોવા મળે છે. અત્યારના સમયમાં બહુ જ ઓછા પરિવારો દિવાળીની ઉજવણી સાંસ્કૃતિક અને પારંપારિક ઢબેે કરે છે. રાજકોટમાં કારતક અમાસના દિવસે દિપદાન ઉત્સવ, કિર્તન- અરદાસ કાર્યક્રમો અને શ્રીનાથજીની હવેલીમાં હાટડી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે.

મહાવીર સ્વામી પરિનિર્વાણના સંદર્ભે જાપ અને પૌષધ ઉપવાસ કરાય છે

'દિવાળીના દિવસે મહાવીર સ્વામી પરિનિર્વાણ દિવસ હોવાથી ભગવાનની મોક્ષ સિદ્ધિની ઉજવણી કરવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે 'ઘંટાકર્ણ મહાવીરનો હવન' થાય છે અને દિવાળીના દિવસે લોકો મહાવીર સ્વામીના દેરાસરે પૂજા- અર્ચના કરે છે. જૈનો દ્વારા કાળી ચૌદશથી બેસતા વર્ષ સુધીના એકથી ત્રણ દિવસના પૌષધ ઉપવાસ સાથે મહાવીર સ્વામીના જાપ કરવામાં આવે છે. જૈન ધર્મમાં દિવાળીમાં ફટાકડા ફોડવાની, દિવડા પ્રગટાવવાની કે રંગોળી કરવાની પરંપરા નથી. હાલ, લોકો ધર્મના સાચા ઇતિહાસથી અવગત ન હોવાના કારણે બહુ જ ઓછા પરિવારો જૈન ધર્મની યોગ્ય પદ્ધતિથી દિવાળીની ઉજવણી કરે છે.' - માનસી હપાણી 

અશોક સમ્રાટ દ્વારા નિર્મત બોદ્ધ સ્મારકોના ઉદ્ધાટનથી 'દિપદાન ઉત્સવ'ની શરૂઆત

'ભગવાન બુદ્ધના મહા પરિનિર્વાણ દિવસના ૨૦૦ વર્ષ બાદ સમ્રાટ અશોકે વિવિધ ૮ જગ્યાઓ પર સ્થાપિત ભગવાન બુદ્ધના અસ્થિઓને ૮૪૦૦૦ ભાગોમાં વિભાજિત કરી તેના પર વિશ્વભરમાં ૮૪૦૦૦ ચૈત્યો, વિહારો, શિલાલેખો અને સ્તંભોનું નિર્માણ કરાવ્યું હતું. વિશ્વભરમાં અશોક સમ્રાટ દ્વારા નિર્માણ થયેલા બૌદ્ધિક સ્મારકોનું ઉદ્ધાટન કારતક અમાસે દિવા પ્રગટાવી કરવામાં આવ્યું હતું તેથી દિપદાન ઉત્સની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસામાં ચાતુર્માસ કરી પરત ફરેલાં બૌદ્ધ ભિખ્ખુઓને ચીવર, ઔષધ અને અન્નનું આપી ધમ્મદાન કરવામાં આવે છે. દિનપ્રતિ દિન ઘટતી બૌદ્ધ ધર્મના લોકોની વસ્તી અને મોટાભાગના બૌદ્ધ પરિવારો નાસ્તિક વિચારોથી પ્રેરિત હોવાના લીધે ભાગ્યે જ ક્યાંક દિપદાન ઉત્સવની ઉજવણી થાય છે.' -વિનયસાગર અનિત્ય

ગુરુ હર ગોવિંદ સિંહ સાહેબ સાથે બાવન રાજાઓની જેલમુક્તિની ઉજવણી 

'શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હર ગોવિંદ સિંહે મુઘલોની કેદમાં રહેલા બાવન હિંદુ રાજાઓને દિવાળીના દિવસે મુક્તિ અપાવી હોવાથી 'બંદી છોડ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. મુઘલોએ હર ગોંવિદ સાહેબને પહેલા મુક્તિ આપી હતી પરંતુ તેમણે હિંદુ રાજાઓ સાથે જ મુક્ત થવાની વાત કરી હતી. તેથી મુઘલોએ  દિવાળીના દિવસે તેમની સાથે રાજાઓને પણ જેલમુક્ત કર્યાં હતા. ગુરુ હર ગોવિંદ સાહેબની મુક્તિની ખુશીમાં ગુરુદ્વારામાં બહોળી સંખ્યામાં દિવાઓ પ્રજ્વલિત કરી સજાવટ કરવામાં આવે છે. અત્યારે પણ ગુરુદ્વારામાં રોશની કરી સાહેબને ખડા પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ અરદાસ અને કિર્તન યોજાય છે. આ દિવસે લંગરનું આયોજન પણ થાય છે. ' - ગુરુપ્રીત સિંહ કેશર

'ઇન્દ્ર માનભંગ લીલા'ઃ ઠાકોરજીને અન્નકૂટ, કાન જગાઇ અને હાટડી દર્શનનું આયોજન

'લોકવાયકાઓ પ્રમાણે કૃષ્ણ ભગવાન વ્રજમાં આવ્યા ત્યારે તેમણે  વ્રજવાસીઓને જણાવ્યું કે, તમારા ઇષ્ટ દેવ તો શ્રીનાથજી છે. પહેલા ઇષ્ટ દેવ તરીકે ઇન્દ્રની પૂજા કરનારા વ્રજવાસીઓએ કૃષ્ણ ભગવાનની વાત માની લીધી. તેનાથી કોપાયમાન થઇને ઇન્દ્ર ભગવાને અનરાધાર વરસાદ વરસાવ્યો અને કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઊંચકી નગરજનોને બચાવ્યાં ત્યારથી વૈષ્ણવ લોકો શ્રીનાથજીને ઇષ્ટદેવ માને છે. જેના અનુસંધાને દિવાળી દરમિયાન 'ઇન્દ્ર માનભંગ લીલા' સંદર્ભે ગાયના કાનમાં પૂજાનું આમંત્રણ આપી 'કાન જગાઇ', શ્રી હવેલીએ હાટડી દર્શન અને ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ ઉપરાંત વૈષ્ણવ  મહિલાઓ ઘરે માટી અને સુખડના શ્રીનાથજીની પ્રતિમા બનાવી તેની પૂજા કરે છે.' - સોનલ રાજપોપટ