મહુવા-સાવરકુંડલા હાઈવેનો માર્ગ વાહનચાલકો માટે ત્રાસદાયક બન્યો
- બિસ્માર રસ્તા પર નાળા પહોળા કરવાનું કામ માથાના દુઃખાવા સમાન
- ડાયવર્ઝનમાં બે-બે ફૂટ પાણી ભરાઈ જતાં ભારે હાલાકી, પ્રાંત અધિકારીને રજૂઆત
મહુવા : મહુવા-સાવરકુંડલા હાઈવે માર્ગ છેલ્લા ઘણાં લાંબા સમયથી વાહનચાલકો માટે ત્રાસદાયક બન્યો છે. રાજકોટ, જામનગર, અમરેલીને જોડતા આ માર્ગ પર ૨૪ કલાક વાહનોની અવર-જવર રહે છે. પરંતુ બિસ્માર રસ્તા પર નાળા પહોળા કરવાનું કામ માથાના દુઃખાવા સમાન બન્યું છે. ખાસ કરીને ઈમરજન્સી વાહનોને હાલાકી વેઠવી પડી રહી છે.
મહુવા-સાવરકુંડલા હાઈવે પર જ્યાં-જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યાં સામાન્ય વરસાદમાં ડાયવર્ઝનનું ધોવાણ થતાં બે-બે ફૂટ પાણી ભરાઈ જાય છે. ચોમાસાની શરૂઆતમાં આ માર્ગને બેથી ત્રણ વખત સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. જેથી અમરેલી, રાજકોટ, જામનગર જતા વાહનોને નેશનલ હાઈવે-૫૧ પરથી રાજુલા થઈ પસાર થવું પડયું હતું. ત્યારે લાંબા સમયથી બિસ્માર માર્ગ અને નાળા પહોળા કરવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોય, જેને લઈ મહુવા માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનની આગેવાનીમાં નેસવડથી લઈ આગળના તમામ ગ્રામ વિસ્તારના સરપંચો આજે બુધવારે મહુવા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રોડનું કામ વહેલી તકે પુરૂં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.