દતાત્રેયપીઠના મહંતે ચાર્ટર્ડ પ્લેનમાં ગિરનાર પર્વતની 3 પરિક્રમા કરી
યજ્ઞાની પૂર્ણાહુતિ બાદ દેશનાં વિવિધ મંદિરોમાં અનુષ્ઠાન કર્યાં : હાલ ગિરનારની પરિક્રમા પગપાળા શક્ય નહીં હોવાથી રાજકોટ એરપોર્ટથી ખાસ પ્લેનમાં બેસી સંકલ્પ પૂર્ણ કર્યો
જૂનાગઢ, : ભૂતનાથ, દત્તાત્રેય પીઠના મહંતે રાણપુર ખાતે કરેલા યજ્ઞાની પૂર્ણાહુતિ બાદ દેશના વિવિધ મંદિરોમાં અનુષ્ઠાન કર્યા હતા. હાલ ગિરનાર પરિક્રમા પગપાળા શક્ય ન હોવાથી તેઓએ ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં બેસી ગિરનાર ફરતે ત્રણ પરિક્રમા કરી હતી.
ગિરનાર પર બિરાજમાન દતાત્રેય શિખર, ભૂતનાથ મહાદેવ મંદિર અને રાણપુરના મહંત મહેશગીરીબાપુએ રાણપુર ખાતે 42 દિવસ સુધી સનાતન વૈદિક યજ્ઞાાનુષ્ઠાન મહોત્સવનું આયોજન કર્યું હતું. તેમાં સામવેદી,યજુર્વેદી, દ્રવિડ,દેશસ્થ,અગ્નિહોત્રી સહિતના વિદ્વાન પંડિતોએ યજ્ઞા કર્યો હતો, જેમાં અંદાજે 10 ટન લાકડું, 700 કિલો શુધ્ધ ઘી, ઔષધિ હોમવામાં આવી હતી. આ યજ્ઞા પૂર્ણ થયા બાદ સંકલ્પ મુજબ મહંતે દેશના અલગ અલગ મંદિરોમાં જઇ અનુષ્ઠાન કર્યા હતા. તેમનો અંતિમ સંકલ્પ ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો હતો. હાલ ગિરનાર પરિક્રમા પગપાળા શક્ય ન હોવાથી ખાસ ચાર્ટર્ડ વિમાનમાં બેસી ગિરનારની ત્રણ પરિક્રમા કરી આ સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો. ખાસ વિમાને રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરી ગિરનારની પરિક્રમા કરી પરત રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યું હતું.