વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 208.54 ફૂટ થઈ
Vadodara Corporation : વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરના લેવલમાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે બે ફૂટનો વધારો થયો છે. ત્રણ દિવસ પહેલા આજવા સરોવરનું લેવલ 206.67 ફૂટ હતું. જે આજે સવારે 10 વાગે 208.54 ફૂટ પહોંચ્યું હતું. હાલ આજવા અને ઉપરવાસમાં વરસાદ બંધ છે.
આજવા સરોવરના ઉપરવાસ પ્રતાપપુરા, હાલોલ, ધનસરવાવ વગેરેમાં ભારે વરસાદ થયો છે, અને તેના કારણે ગઈકાલે આજવાના લેવલમાં વધારો જોવાઈ રહ્યો છે. આજવામાં મોસમનો અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ થયો છે. હાલોલમાં 24 કલાકમાં 172 મીમી વરસાદ હતા મોસમનો કુલ વરસાદ 552 મીમી થયો છે. પ્રતાપપુરામાં 106 મીમી વરસાદ સાથે કુલ વરસાદ 455 મીમી અને ધનસરવાવમાં 189 મીમી વરસાદ સાથે કુલ વરસાદ 441 મીમી નોંધાયો છે. પ્રતાપપુરાથી અને આસોજ ફીડરથી પાણી નદીમાં વાળી દેવામાં આવ્યું છે. આસોજ ફીડરનું લેવલ આજે સવારે ઘટીને 0.20 ફૂટ થઈ ગયું હતું. આજે સવારે વિશ્વામિત્રી નદીની સપાટી 9.74 ફૂટ થઈ હતી. વરસાદના પ્રથમ રાઉન્ડમાં અત્યાર સુધીમાં છેલ્લા 10 દિવસમાં આજવાનું લેવલ 205.85 ફૂટ થી વધીને 208.54 ફૂટ પહોંચ્યું છે. ગઈકાલે સાંજે નદીમાં સપાટી વધતા મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ કાલાઘોડા બ્રિજ પર જઈને નદીના પાણીના સ્તરનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરામાં ગયા વર્ષના વરસાદના આધારે પાણી ભરાય તેવા 230 સ્થળો છે. જેના પર કોર્પોરેશનનું તંત્ર નજર રાખી રહ્યું છે.