વાઘોડિયારોડનું જૈન પરિવાર લંડન જવા મોડે સુધી જાગતું રહ્યું..પંચાલ પરિવારને પુત્રને મળવાનો હરખ હતો
વડોદરાઃ મહેસાણાથી વડોદરામાં સ્થાયી થયેલા પંચાલ દંપતીને લંડનમાં રહેતા પુત્રને મળવાનો ખૂબ જ ઉત્સાહ હતો
મૂળ મહેસાણાના વતની એવા નરેન્દ્રભાઇ પંચાલ અને ઉષાબેન પંચાલ ઘણા વર્ષોથી વડોદરામાં વ્રજભૂમિ ઇ-ટાવર, વડસર ખાતે રહેવા આવી ગયા હતા. નરેન્દ્રભાઇ ફાયર સેફ્ટીના સાધનના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગનું કામ કરતા હતા.
તેમની બે પુત્રી રિંકલ પટેલ અને ડિમ્પલ પંચાલ વડોદરામાં સ્થાયી થઇ છે.જ્યારે,પુત્ર સાહિલ લંડનમાં છે.બંને પતિ-પત્ની એક મહિના માટે ફરવા જવા આજે રવાના થયા હતા પરંતુ પ્લેન ઉડાણ ભરે ત્યાંજ તેઓ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા જૈન પતિ-પત્ની પુત્રીને મળવાના હરખમાં મોડે સુધી જાગતા રહ્યા હતા.
ગુરૃકુલ ચાર રસ્તા પાસે નારાયણ સ્કૂલ રોડ પર વિમલનાથ રેસિડેન્સીના જી ટાવરમાં રહેતા સિનિયર સિટિઝન ઇન્દ્રવદન શશીકાન્તભાઇ દોશી અને તેમના પત્ની જ્યોતિબેનને બે પુત્રીઓ છે.જે પૈકી એક પુત્રી અકોલામાં અને બીજી પુત્રી લંડન રહે છે.
અગાઉ દુકાન ધરાવતા ઇન્દ્રવદનભાઇ હાલમાં નિવૃત્ત જીવનગાળતા હતા. ધર્મપરાયણ દંપતીએ આજે સવારે પણ એરપોર્ટ જવા નીકળતાં વિમલનાથ દેરાસરમાં દર્શન કર્યા હતા.
પાડોશીઓનું કહેવું છે કે,બંને પતિ-પત્ની ખૂબ પ્રેમાળ હતા.અકોલામાં રહેતી તેમની પુત્રી થોડો સમય પહેલાં જ રહેવા આવી હતી.જ્યારે બીજી પુત્રીને આજે મળવા જવાના હોવાથી ખૂબ જ હરખમાં હતા.
આજે પરોઢિયે અમદાવાદ જવાનું હોવા છતાં તેઓ મોડીરાત સુધી વાતોએ વળગ્યા હતા અને પર્યુષણ પર્વ પહેલાં આવી જઇશું તેમ કહ્યું હતું.આ બનાવથી સગાં-સબંધીઓ અને પાડોશીઓએ આઘાત અનુભવ્યો હતો.