- ભાજપના કોર્પોરેટરે પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રી સમક્ષ રજૂઆત કરી
વડોદરા, તા. 21 ડિસેમ્બર
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મસ્જિદના વિવાદિત બાંધકામના મુદ્દે વિવાદ વકરતા જિલ્લા કલેકટર લેવલે કમિટીમાં ટ્ટ 6 વડોદરા કોર્પોરેશન તરફથી આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ભાજપના કોર્પોરેટર નિતીન દોંગા એ ગાંધીનગર ગૃહ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી મસ્જિદનું બાંધકામ તોડવા માગણી કરી છે.
તાંદલજા વિસ્તારમાં 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે. અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં. તેમ છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું. અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ સાત દિવસની મુદત આપી હતી. અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી હતી.
તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે.આ મસ્જિદ પાલિકાના ગ્રીન બેલ્ટ ની જમીન માં બંધાઈ ગઈ છે તેવી માહિતી પણ બહાર આવી છે.
ગેરકાયદે મસ્જિદના બાંધકામ અંગે ભાજપના કોર્પોરેટર નિતીન દોંગાએ ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી માગણી કરી છે કે તાંદલજા વિસ્તારમાં બનાવવામાં આવેલી ગેરકાયદે મસ્જિદ કોર્પોરેશનના ગ્રીનબેલ્ટ માં બાંધવામાં આવેલી છે જેથી આ બાંધકામ તાત્કાલિક અસરથી તોડવું જોઈએ.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ભાજપના કોર્પોરેટર ને વિદેશના અજાણ્યા નંબર પરથી મસ્જિદ ની રજૂઆત બંધ કરી દેવા અને મારી નાખવાની ધમકી આપી હતી.


