માતા સાથે આડાસંબંધની આશંકાએ પુત્રએ યુવકને માથામાં પથ્થર મારી ગળું દબાવી ઢીમ ઢાળી દીધું
પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનું બહાર આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો
થોડા દિવસ અગાઉ તરસાલી બાયપાસ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતની કાર્યવાહી હાથ ધરતા પીએમ રિપોર્ટમાં તેનું મોત ગળુ દબાવવાથી નીપજ્યું હોવાનું સપાટી પર આવતા કપુરાઇ પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો. માતા સાથે આડા સંબંધની આશંકાએ પુત્રએ યુવકને માથામાં પથ્થર મારી ગળું દબાવી ઢીમ ઢાળી દીધું હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
ગઈ તા. 13 જૂનના રોજ તરસાલી બાયપાસ સર્વિસ રોડથી ભાલીયાપુરા ગામ તરફ જતા ભેંસાસુર મંદિર રોડ ઉપર પ્રીત ટેનામેન્ટની બાજુમાં આવેલ ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેથી પોલીસે કુદરતી મોત મુજબ રજીસ્ટર કરી મૃતદેહને ઓળખ છતી કરવા સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો હતો. ફિંગર પ્રિન્ટ રિપોર્ટના આધારે મૃતકની ઓળખ છતી થતા મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડિયા ગામના વતની અને હાલ શહેરના સોમા તળાવ નજીક એમ એમ વોરા શોરૂમ ની પાછળ આવેલ માધવમ ફ્લેટની સાઈટ ખાતે મજૂરી કામ કરતા મંજુલાબેન તડવીએ પતિની લાશને ઓળખ કરતા મૃતક ગોરસીંગભાઇ તડવી હોવાનું સપાટી પર આવ્યું હતું. ગોરસીંગભાઇના પીએમ રિપોર્ટમાં તેમનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું કારણ બહાર આવ્યું હતું. તેમજ માથાના પાછળના ભાગે આંતરિક ઈજા પણ જણાઈ આવી હતી. દરમ્યાન એલસીબી ઝોન ત્રણ તથા કપુરાઇ પોલીસે ટીમો બનાવી ઝીણવટભરી તપાસ કરતા ચોક્કસ માહિતીના આધારે આરોપી 25 વર્ષીય નિલેશ કાંતિભાઈ રાઠોડ (રહે - કારેણા ગામ, મિયાગામ, ભરૂચ) ને ઝડપી પાડ્યો હતો.
વડદલા રોડ ઉપર હત્યા કરી લાશને પેન્ડલ રિક્ષામાં મૂકી આવ્યો હોવાની આરોપીની કબૂલાત
આરોપીએ કબુલાત કરી હતી કે, તરસાલી બ્રિજ નીચે રહેતી મારી માતા અને ગોરસીંગભાઇ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હોય , ગોરસીંગભાઇએ મને અગાઉ માર માર્યો હતો, તેમજ મારી માતા ને તે બીજે ક્યાંક લઈ જશે તેવી શંકા હોય, ગઈ તા. ૧૩ જુનની રાત્રે તરસાલી બ્રિજથી વડદલા રોડની સરકારી શાળા પાસે ગોરસીંગભાઇને પથ્થર મારી ત્યારબાદ ગળું દબાવી મોતની નિપજાવી લાશને પેન્ડલ રિક્ષામાં ભાલીયાપુરા ગામ નજીકના ખેતરમાં મૂકી આવ્યો હતો.