હજીરાની કું.ના સિક્યુરીટી ગાર્ડનું હૃદય જામખંભાળીયાના યુવાનમાં ધબકતું થયું
- અંગદાનથી ચાર વ્યક્તિને નવજીવનઃ મૂળ ઝારખંડના 35 વર્ષના શૈલેષ હરિહરસિંઘને અકસ્માત નડયા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા
સુરત :
સુરતના બમરોલી રોડ પર રહેતા અને હજીરાની ઓ.એન.જી.સી કંપનીના 35 વર્ષીય સિક્યુરીટીગાર્ડનું હૃદય, કિડની, લીવરના અંગદાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે. ગાર્ડનું હૃદય અમદાવાદની હોસ્પિટલમાં જામખંભાળીયાના યુવાનમાં ધબકતું કરાયું હતું.
મુળ ઝારખંડના હુસૈનાબાદના વતની અને હાલમાં બમરોલી રોડ પર આશિષનગરમાં રહેતા 35વર્ષીય યુવાન શૈલેશ હરિહર સિંઘ હજીરાની ઓએનજીસી કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ હતા. તા.9મીએ ઘરે જતી વેળા અલથાણ ચોકડી પાસે અજાણ્યા વાહને ટકકર મારતા નવી સિવિલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તા.15મી એ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઇફે તેની 22 વર્ષીય પત્ની સીમાને અંગદાન અંગે સમજ આપતા તે સંમત થઇ હતી.
દાનમાં મળેલુ ંતેમનું હૃદય સુરતની હોસ્પિટલથી અમદાવાદનું 285 કિ.મીનું અંતર 80 મીનીટમાં કાપીને જામખંભાળીયાના 22 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. લિવર અમદાવાદમાં સારવાર લઇ રહેલા રાજકોટના 41 વર્ષીય યુવાનને, એક કિડની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લેતા જરુરીયાતમંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. એક કિડની અમદાવાદ રીસર્ચ સેન્ટરમાં રખાઇ છે. શૈલેષના પિતા હરિહરભાઇ અને માતા ફુલમતીદેવીનું અવસાન થઇ ચુંકયુ હતું.