Get The App

છલોછલ પાણીથી હિલોળા લેતા શેત્રુંજી જળાશયના દરવાજા 62 કલાકે બંધ થયા

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
છલોછલ પાણીથી હિલોળા લેતા શેત્રુંજી જળાશયના દરવાજા 62 કલાકે બંધ થયા 1 - image


- બપોર સુધી 450 ક્યુસેક પાણીની આવક શરૂ રહેતા 5 દરવાજા એક ફૂટ ખુલ્લા હતા

- ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણામાં ધીમીધારે વરસાદ, ડેમ વિસ્તારમાં મેઘમહેર વરસી, 23 અને 24 મીએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભાવનગર : પ્રથમ વરસાદમાં જ પાણીથી છલોછલ હિલોળા લેતા શેત્રુંજી જળાશયમાં ત્રણ દિવસ સુધી સતત આવક શરૂ રહ્યા બાદ બપોરે પાણીની આવક બંધ થતાં ૬૨ કલાકે શેત્રુંજી ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે સામાન્ય વરસાદ વરસ્યો હતો. આગામી સપ્તાહના આરંભે બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ભાવનગર શહેરમાં આજે બપોરે ધીમીધારે વરસાદ વરસતા રોડ ભીંજાયા હતા. ત્યારબાદ સાંજે ઉઘાડ નીકળી ગયો હતો. ગઈકાલની તુલનામાં આજે શહેરનું તાપમાન ૦.૪ ડિગ્રી વધીને ૩૫.૧ ડિગ્રીએ સ્થિર થયું હતું. જે સામાન્યથી સરેરાશ ૧.૫ ડિગ્રી નીચું નોંધાયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાતનું તાપમાન દોઢ ડિગ્રી ઉંચાઈને ૨૭.૮ ડિગ્રી રહ્યું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા, પવનની ઝડપ ૧૮ કિલોમીટર પ્રતિકલાકની રહી હતી. ગારિયાધારમાં ઝરમર બે મિ.મી. અને પાલિતાણામાં ધીમીધારે પાંચ મિ.મી. વરસાદ વરસ્યો હોવાનું ફ્લડ વિભાગમાં નોંધાયું છે.

જ્યારે ડેમ વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હતી. જેમાં શેત્રુંજી ડેમ વિસ્તારમાં ૦૫ મિ.મી., રજાવળમાં ૧૦, ખારોમાં ૧૫, હમીરપરામાં ૧૫, હણોલમાં ૧૨, પીંગળીમાં ૦૬ અને જસપરા (માંડવા) ડેમ વિસ્તારમાં ૧૦ મિ.મી. વરસાદ થયો હતો. માલણ ડેમમાં ૬૫ ક્યુસેક, રોજકીમાં ૧૧ ક્યુસેક અને બોટાદ જિલ્લાના સુખભાદર ડેમમાં ૨૦૬ ક્યુસેક પાણીની આવક-જાવક તેમજ ગોમા ડેમમાં ૨૨૨ ક્યુસેક પાણીની આવક રહી હતી. તો ગત મંગળવારે બપોરે બે વાગ્યાથી સતત ઓવરફ્લો વહેતા શેત્રુંજી ડેમમાં આજે શુક્રવારે બપોરે પાણીની આવક બંધ થઈ જતાં ૬૨ કલાકે (બપોરે બે વાગ્યે) ડેમના પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. તે પહેલા ૪૫૦ ક્યુસેક પાણીની આવક શરૂ રહેતા શેત્રુંજી જળાશયના પાંચ દરવાજાને એક ફૂટ ખુલ્લા રાખી તેટલા જ પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું તેમ સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Tags :