રાજકોટની આગની દુર્ઘટના બાદ પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી મે માસમાં સીલ કરવામાં આવ્યું હતું, સંચાલક સામે ગુનો દાખલ : જૂનાગઢના ઝાંઝરડા રોડ SOG ઓફિસ સામે આવેલું
Junagadh Game Zone news | જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા. આથી ગેમઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે આવેલા કુંજ સ્કવેરમાં પહેલા માળે સ્નુકઝોન ગેમઝોનને પરફોર્મન્સ લાયસન્સ ન હોવાના કારણે મામલતદારે તા. 25-5-2024 ના સીલ કરી દીધું હતું. પરંતુ આ સ્થળે પાછળના દરવાજા ખોલી ત્યાં ગેમઝોન ચાલતું હોવાની એલસીબીને બાતમી મળી હતી.
જેના આધારે એલસીબી પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ કરતા આ સીલ કરેલા ગેમઝોનમાં દસેક વ્યક્તિ બે ટેબલ પર ગેમ રમતા મળી આવ્યા હતા. સ્નુક સિટી ગેમઝોનના સંચાલક જયદીપસિંહ નિર્મળસિંહ વાઘેલાની પૂછપરછ કરતા તેણે કોઈ પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું અને પાછળના દરવાજેથી સીલ ગેમઝોન ખોલી ગેમ રમાડતો હતો.
ગેમ રમવા આવતા લોકો પાસેથી 25 મિનીટના 10 રૂ. લેતો હતો. આ અંગે એલસીબીના હેડકોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયાએ ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગેમઝોનના સંચાલક જયદીપસિંહ વાઘેલા સામે સક્ષમ અધિકારીના હુકમનો અનાદર કરવા બદલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં આગની દુર્ઘટના બન્યા બાદ આવા ગેમઝોનને સીલ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.


